Gujarat

ખંભાળિયામાં યુવાનની હત્યા બે મિત્રોએ જ કર્યાનું ખુલ્યું

By GS TEAM
28 Oct 20251 min read
ખંભાળિયામાં યુવાનની હત્યા બે મિત્રોએ જ કર્યાનું ખુલ્યું

પાંચ દિવસ પહેલાંની ઘટનામાં ભેદ ઉકેલાયો

અગાઉ થયેલી બોલાચાલી કારણભૂત, સીસીટીવી ફૂટેજના આધારે પોલીસે મૃતક યુવાનના બે મિત્રોને ઝડપી લીધા

જામ ખંભાળિયા: ખંભાળિયામાં રહેતા 20 વર્ષીય એક યુવાન ઉપર પાંચ દિવસ પહેલા છરી વડે હુમલો કરી માથું દીવાલમાં અથડાવવામાં આવતાં તેનું મૃત્યુ નીપજ્યું હતું. આ પ્રકરણનો ભેદ ઉકેલી પોલીસે મૃતકના બે મિત્રોને દબોચી લીધા છે.

વિગત એવી છે કે અમન અબ્દુલભાઈ નાયક નામના ૨૦ વર્ષના યુવાન સાથે અગાઉ મિત્ર જેવા જ આસિફ હબીબ જુણેજા (રહે. ભરવાડ પાડો, ભરવાડ સમાજની વાડીની સામે, ખંભાળિયા)ને બોલાચાલી થઈ હતી જેથી આશિફ હબીબ અને તારીક હબીબ જુણેજાએ તા.૨૪મીએ કાવતરું રચી અમન ઉપર છરી વડે જીવણ હુમલો કર્યો હતો. અમનની આંખમાં છરી મારી તેનું માથું દીવાલમાં જોરથી અથડાવ્યું હતું, જેના કારણે તેને ગંભીર ઈજાઓ થતા જામનગરની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો, જ્યાં સારવાર દરમિયાન તેનું મૃત્યુ નિપજ્યું હતું. આ બનાવ અંગે ખંભાળિયા પોલીસે મૃતકના પિતા અબ્દુલભાઈ નાયકની ફરિયાદ પરથી ગુનો નોંધ્યો હતો. 

આ સમગ્ર પ્રકરણ સંદર્ભે અહીંના પી.આઈ. બી.જે. સરવૈયા તેમજ એલ.સી.બી. પી.આઈ. કે.કે. ગોહિલની ટીમ દ્વારા આરોપીઓને ઝડપી લેવા માટે અલગ અલગ ટીમો બનાવી અને સીસીટીવી ફૂટેજ તેમજ ટેકનિકલ એનાલિસિસ અને હ્યુમન સોસસથી કરવામાં આવેલી તપાસ બાદ આરોપી આસિફ હબીબ (ઉ.વ. ૨૧) અને તારીક હબીબ જુણેજા (ઉ.વ. ૨૭) નામના બંને શખ્સોની અટકાયત કરી લેવામાં આવી હતી