વડોદરામાં ચોમાસામાં પૂરનો ભય યથાવત્: વિશ્વામિત્રી ઊંડી કરવાની કામગીરી હજુ અધૂરી: ધારાસભ્ય
Vadodara : વડોદરા શહેરમાં ગત ચોમાસા દરમિયાન વિશ્વામિત્રી નદીમાં આવેલા વિનાશક પૂર બાદ નદીને ઊંડી અને પહોળી કરવાનું કામ શરુ થયું છે. પરંતુ, આગામી ચોમાસા અગાઉ આ કામગીરી પૂરી થવાની શક્યતા જણાતી નથી. આથી આ ચોમાસામાં પણ શહેરમાં પૂર આવવાની કે પછી ભારે વરસાદમાં શહેરીજનો હેરાન થવાની શક્યતા છે. ખુદ અકોટાના ધારાસભ્યએ આ વાતની કબૂલાત કરી છે કે વિશ્વામિત્રી નદીને ઊંડી અને પહોળી કરવાની કામગીરી પૂર્ણ થઈ નથી, તેથી આગામી ચોમાસાના સમયમાં શહેરમાં પૂર નહીં જ આવે એવું કહેવું વધારે પડતું છે.
વડોદરામાં ચોમાસામાં પૂરનો ભય યથાવત્
ઉલ્લેખનીય છે કે અકોટાના ધારાસભ્ય ચૈતન્ય દેસાઈએ એક કાર્યક્રમમાં જણાવ્યું હતું કે, 'શહેરમાં ગયા ચોમાસા દરમિયાન વિશ્વામિત્રી નદીમાં ભારે પૂર આવ્યું હતું. ત્યારબાદ વિશ્વામિત્રી નદીને ઊંડી અને પહોળી કરવાનું રૂપિયા 1200 કરોડના ખર્ચે ભગીરથ કાર્ય શરુ કરવામાં આવ્યું છે. 100 દિવસમાં આ કાર્ય પૂરું કરવાનો ટાર્ગેટ છે. પરંતુ, હજુ સુધી પોણા ભાગની પણ કામગીરી પૂર્ણ ન થઈ હોવાનું કહેવાય છે. નદીને ઊંડી અને પહોળી કરવાની કાર્યવાહી હાલમાં પૂરજોશમાં ચાલી રહી છે, છતાં પણ આગામી ચોમાસા દરમિયાન વિશ્વામિત્રી નદીમાં પૂર આવવાની શક્યતા નકારી શકાતી નથી. જોકે, તેની માત્રા જરૂર ઓછી હશે' તેમ તેમણે જણાવ્યું હતું.