ચોટીલાના ઢોકળવા, ખેરાણા અને દેવપરામાં રેશનિંગની દુકાનોમાં ગેરરીતિ ઝડપાઇ
- રેશનિંગના દુકાનદારો વોટસઅપ ગુ્રપ બનાવી અધિકારીઓની રેકી કરતા
- દુકાનમાં અનાજ વધ-ઘટ ઝડપાતા બજાર કિંમતનો ડબલ રકમનો દંડ દુકાનદારોને ફટકારાયો
ચોટીલા તાલુકાની ઢોકળવા ગામે આવેલી જયરાજભાઈ શાંતુભાઈ ખાચરની રાશનીંગ દુકાનમાં ચોટીલા પ્રાંત અધિકારી સહિતની ટીમે ચેકીંગ હાથધર્યું હતું. તપાસ દરમ્યાન ૪૦ કિલો ધઉંની ઘટ, ૨ કિલો ચોખાની ઘટ, અને ૮ કિલો મીઠાની ઘટ જણાઈ આવી હતી. જેની બજાર કિંમત રૂા.૨,૫૨૪ થતી હોય તેની બે ગણી રકમનો દંડ ફટકાર્યો હતો. જ્યારે દેવપરા ગામે આવેલ ભરતભાઈ માવજીભાઈ બાવળીયાની રાશનીંગ દુકાનમાં પણ સરપ્રાઈઝ ચેકીંગ હાથધરતા ૮૭ કિલો ઘઉંનો વધારો, ૬૧ કિલો ચોખાની ઘટ, ૪૬ કિલો ખાંડની ઘટ જણાઈ આવી હતી આથી બજાર કિંમત રૂા.૧૩,૯૬૪ ની ડબલ ગણી રકમનો દંડ ફટકાર્યો હતો. આ ઉપરાંત ખેરાણા ગામે હરેશભાઈ વિનુભાઈ ધાધલની રાશનીંગ દુકાનમાં સરપ્રાઈઝ ચેકિંગ દરમિયાન ૭૦ કિલો ધઉંની ઘટ, ૩૬ કિલો ચોખાનો વધારો, ૨૮ કિલો ખાંડની ઘટ અને ૩.૨ કિલો તુવેરદાળની ઘટ માલુમ પડી હતી આથી તેની બજાર કિંમત રૂા.૧૦,૨૮૦ની ડબલ ગણી રકમનો દંડ ફટકારાયો હતો.
ચોટીલા તાલુકાના ઢોકળવા, ખેરાણા અને દેવપરા ગામની ત્રણ રાશનીંગ દુકાનોમાં સરપ્રાઈઝ ચેકિંગ દરમિયાન અનાજની વધ-ધટ સામે આવી હતી જેની કુલ બજાર કિંમત રૂા.૨૬,૭૬૮ મુજબ ગણી તેની ડબલ રકમ એટલે કે રૂા.૫૩,૫૩૬ની રકમનો દંડ ફટકારવામાં આવ્યો હતો. જ્યારે ચોટીલા પ્રાંત અધિકારીની ટીમના સરપ્રાઈઝ ચેકીંગને પગલે અન્ય રેશનિંગ દુકાનદારોમાં ફફડાટ ફેલાઈ જવા પામ્યો હતો. ખેરાણા ગામના રાશનીંગ દુકાનદાર હરેશભાઈ વિનુભાઈ ધાધલની રેશનિંગ દુકાન પર સરપ્રાઈઝ દરમ્યાન ચોટીલા તાલુકાના રાશનીંગ દુકાનદારોનું ખાનગી વોટસઅપ ગૃપ બનાવી તેમાં અધિકારીઓની રેકી કરતા હતા અને આ ગૃપમાં લોકેશનના મેસેજ નાંખતા હોવાની પણ ચોકાવનારી વિગતો બહાર આવી હતી.
- ચેકિંગ દરમિયાન અન્ય ગેરરિતી પણ સામે આવી
ચોટીલા પ્રાંત અધિકારી અને ટીમ દ્વારા ઢોકળવા, દેવપરા અને ખેરાણા ગામે આવેલ ત્રણ રાશનીંગ દુકાનદારોમાં સરપ્રાઈઝ ચેકીંગ હાથધર્યું હતું જેમાં અનાજની વધ-ઘટ સાથે સાથે રેશનકાર્ડ ધારકોને કુપન ન આપવા, ભાવ અને જથ્થાનું બોર્ડ ન રાખવું, પીળા કલરની ફરિયાદ પેટી ન રાખવી, દરેક જણસીના નમુના પ્રદર્શનમાં ન રાખવા, દુકાનદારનું ફોટા સાથેનું એફપીએસ બોર્ડ ન રાખવું, બીપીએલ કાર્ડધારકોની યાદી ન રજુ કરવી, તકેદારી સભ્યોનું બોર્ડ ન રાખવું, સ્વચ્છતાનો અભાવ, કુપન કાઢવા માટે પ્રિન્ટરનો અભાવ વગેરે બાબતોમાં નિયમોનું ઉલંધ્ધન થતું જણાઈ આવ્યું હતું.