Gujarat

અનિયમિત દિનચર્યા અને અસ્વસ્થ ખાણીપીણી લીવરના આરોગ્ય માટે ખતરો બની શકે છે

By GS TEAM
18 Apr 20262 mins read
અનિયમિત દિનચર્યા અને અસ્વસ્થ ખાણીપીણી લીવરના આરોગ્ય માટે ખતરો બની શકે છે

વિશ્વ લીવર દિવસ  19 એપ્રિલ : હોસ્પિટલના મેડિસિન વિભાગના તબીબે ગણાવ્યા લીવરને સ્ટ્રોંગ રાખવાના ઉપાયો

ભુજ/ રાજકોટ  : આજકાલ અવ્યવસ્થિત જીવનશૈલીને કારણે સ્વાસ્થ્ય સમસ્યા વધી રહી છે. જેમાંની એક સમસ્યા લીવરની પણ છે. ખાસ કરીને ફેટી લીવર, લીવરમાં સુજન અને સીરોસીસ જેવી સમસ્યા દેખાવા લાગી છે. અશુદ્વ ખાણીપીણી લીવરને નુકસાન કરે છે. આ પ્રકારે ખરાબ જીવનશૈલી જ લીવર માટે દુશ્મન છે. જી.કે. જનરલ હોસ્પિટલના મેડિસિન વિભાગના હેડ ડો.  ભટના જણાવ્યા મુજબ ભારત સહિત દુનિયાભરમાં મોટી સંખ્યામાં લોકો ફેટી લીવરની સમસ્યાથી પીડિત છે, ભલે જીવન માટે તે મોટો ખતરો નથી પણ લગાતાર આંખ આડા કાન કરવા ખતરનાક સાબિત થઈ શકે છે. લીવરની સમસ્યા થવાનું મુખ્ય કારણ લગાતાર બેસીને કામ કરવું, શારીરિક શ્રમનો અભાવ, ઝંકફૂડ, પ્રોસેસફૂડ, અધિક નમક અને ખાંડને કારણે લીવરની સમસ્યા વધે છે. અશુદ્વ ભોજન લીવરમાં ચીકાશ વધારે છે, જેને કારણે ફેટ વધે છે. લીવરમાં ચરબી વધવાથી બીજા રોગો પણ વધી શકે છે.

લીવર ખરાબ થાય તો શરીર સંકેત આપી દે છે જેમ કે, કમર પાસે ચરબી જમા થાય કે થવાની શરૂઆત થવી, ગરદન મોટી અને કાળી થવા લાગે તો તે પણ લીવરની સમસ્યાનો સંકેત છે. એવામાં લીવર ની તપાસ કરવી જરૂરી બને છે. લીવરની સમસ્યા ગંભીર બને તો પગમાં સુજન અને પેટમાં પાણી જમા થવાના લક્ષણો જણાય છે. આવું જણાય તો તપાસ અચૂક કરાવી લેવી જોઈએ. અલ્ટ્રાસાઉન્ડ તપાસથી આ બીમારીનો ખ્યાલ આવી શકે છે. ફેટ હોય તો ડાયાબિટીસ, લિપિડ પ્રોફાઈલ, એલએફટી વિગેરે ટેસ્ટ સમયસર કરવી લેવાય તો બીમારીને ગંભીર થતી અટકાવી શકાય છે. આ ઉપરાંત હિપેટાઇટિસ વિગેરે ટેસ્ટ પણ કરાવી લેવા હિતાવહ છે. દરેક રોગની જેમ લીવરમાં પણ ભોજનની જીવનશૈલી સ્વસ્થ હોવી જોઈએ. સાદા નિયમો જેમકે, ખોરાક ચાવીને ખાવું, વધુ પડતું ન ખાવું, પાચનશક્તિ માટે વ્યાયામ અને તે પણ ભોજનના 2- 3 કલાક પછી કરવી યોગ્ય છે. આખું અનાજ ખાવું, ફળ, શાકભાજી ઉપર ભાર રાખવો પરંતુ આલ્કોહોલથી તો દૂર જ રહેવું. આમ સારી આદત જ લીવરને સ્ટ્રોંગ રાખે છે.