જયંતિ ભાનુશાળીની હત્યા તેમજ દિલ્હીના રેપ કેસમાં સંડોવાયેલા : જોઇન્ટ કમિશનરને તાકીદે રિપોર્ટ સુપરત કરવા પો.કમિ.ની સૂચનાઃકોલ્સ ડીટેલ અને સીસીટીવી તપાસના મુખ્ય આધાર
વડોદરા/ રાજકોટ : કચ્છના ભાજપના પૂર્વ ધારાસભ્ય અને પ્રદેશના પૂર્વ ઉપપ્રમુખ જયંતિ ભાનુશાળીની હત્યા કેસમાં સંડોવાયેલા આરોપી ભાજપના પૂર્વ ધારાસભ્ય છબિલ પટેલને રેપ કેસમાં દિલ્હીની કોર્ટમાં રજૂ કરવા માટે અંદાવાદથી વિમાનમાં લઇ જવાયા હોવાની ચર્ચામાં આવેલી વિગતોને પગલે પોલીસ કમિશનરે સમગ્ર પ્રકરણની તપાસ જોઇન્ટ પોલીસ કમિશનરને સોંપી તાકિદે અહેવાલ માંગ્યો છે.
ઉલ્લેખનીય છે કે છબિલ પટેલ હાલ વડોદરાની જેલમાં છે. કચ્છના પૂર્વ ધારાસભ્ય જયંતિ ભાનુશાળીની જાન્યુઆરી- 2019માં ટ્રેનમાં થયેલી હત્યાના બનાવમાં ગુજરાતની સીઆઇડીને તપાસ સોંપાતા મુખ્ય સૂત્રધાર એવા અબડાસા બેઠકના કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલા અને વર્ષ- 2017માં ચૂંટાયેલા ભાજપના ધારાસભ્ય છબિલ પટેલ સહિત 11 જણાની ધરપકડ કરવામાં આવી હતી.
છબિલ પટેલ સામે વર્ષ- 2017માં દિલ્હીની એક મહિલાએ બળાત્કારની પણ ફરિયાદ નોંધાવી હતી.જે કેસમાં છબિલ પટેલને દિલ્હી કોર્ટમાં હાજરી આપવાની હોય છે.વડોદરાની જેલમાં રખાયેલા છબિલ પટેલને ગઇ તા. 16મીએ દિલ્હીની કોર્ટમાં હાજર થવા માટે હેડક્વાર્ટરમાંથી પીએસઆઇ એ સી રાઠવા સહિત પાંચ પોલીસ જવાનોનો જાપ્તો મોકલવામાં આવ્યો હતો. છબિલ પટેલને જેલમાંથી બહાર કાઢ્યા બાદ બે પોલીસ જવાનો તેમને અમદાવાદથી વિમાનમાં દિલ્હી લઇ ગયા હોવાની અને બાકીના ત્રણ પોલીસ કર્મી વાન લઇને દિલ્હી પહોંચ્યા હોવાની તેમજ આ જ રીતે તેઓ પરત ફર્યા હોવાની વિગતો ચર્ચાનો વિષય બની છે. જેથી પોલીસ કમિશનર ડો. સમશેરસિંઘે આ બનાવની તપાસ જોઇન્ટ પોલીસ કમિશનરને સોંપી તાકીદે રિપોર્ટ માંગ્યો છે.તપાસમાંે પોલીસ કર્મીઓના મોબાઇલની કોલ્સ ડીટેલ, વિમાનની ટિકિટોની માહિતી,એરપોર્ટ તેમજ ટોલનાકાના સીસીટીવી ફૂટેજ મહત્વના બની રહેશે.
જાપ્તામાં ગયેલા પોલીસોનું એક જ રટણ હેડક્વાર્ટરના એસીપી સહિતના અધિકારીઓએ પ્રાથમિક પૂછપરછ શરૂ કરી : અમે દિલ્હી વિમાનમાં નહીં પણ બાય રોડ જ ગયા છીએ
પૂર્વ ધારાસભ્ય છબિલ પટેલને દિલ્હીની કોર્ટમાં રજૂ કરવા માટે પોલીસ વાનમાં વડોદરાની જેલમાંથી બહાર કાઢ્યા બાદ અમદાવાદથી વિમાનમાં દિલ્હી લઇ ગયા હોવાની ચર્ચાને પગલે હેડક્વાર્ટરના અધિકારીઓએ પ્રાથમિક તપાસ કરી છે.
મળતી માહિતી મુજબ,ઉપરોક્ત વિષય બાબતે હેડક્વાર્ટરના એસીપી વસાવા તેમજ પીઆઇ સહિતના અન્ય અધિકારીઓ દોડતા થયા હતા.તેમણે જાપ્તામાં ગયેલા પીએસઆઇ અને અન્ય પોલીસ કર્મીઓના નિવેદનો લેતાં તેમણે વિમાનમાં ગયાની વાતનો સ્પષ્ટ ઇનકાર કર્યો છે અને આરોપીને લઇ બાયરોડ ગયા હોવાનું રટણ કર્યું છે.હવે જોઇન્ટ પોલીસ કમિશનર પણ તેમની પૂછપરછ કરશે.


