વડોદરાઃ નવી શિક્ષણ નીતિના કારણે હવે એમ.એસ. યુનિવર્સિટીની કોમર્સ ફેકલ્ટી સહિત તમામ ફેકલ્ટીઓના માથે ટીવાયના હજારો વિદ્યાર્થીઓને ઈન્ટર્નશિપ કરાવવાની જવાબદારી આવી છે.
ગુલ્લેબાજ વિદ્યાર્થીઓની સંખ્યા ઘણી વધારે હોવાથી આર્ટસ અને કોમર્સ જેવી ફેકલ્ટીઓ માટે ઈન્ટર્નશિપ મોટો પડકાર
અત્યારે તમામ ફેકલ્ટીઓમાં સેમેસ્ટર એન્ડ એટલે કે ફાઈનલ પરીક્ષાઓ ચાલી રહી છે અને તેના પછી જાન્યુઆરીથી માર્ચ મહિના દરમિયાન ફેકલ્ટીઓને ઈન્ટર્નશિપ માટેની કવાયત કરવી પડશે.જેની તૈયારીઓ આર્ટસ અને કોમર્સ જેવી ફેકલ્ટીઓએ અત્યારથી જ શરુ કરી દીધી છે.
ઈન્ટર્નશિપનો નિયમ ટેકનોલોજી, ફાર્મસી, મેનેજમેન્ટ ફેકલ્ટી અને પોલીટેકનિક સીવાયની તમામ ફેકલ્ટીઓને લાગુ પડશે.એક ફેકલ્ટી ડીને કહ્યું હતું કે, એક સેમેસ્ટરમાં વિદ્યાર્થીઓને ૨૨ ક્રેડિટ મળે છે અને તેમાં પણ ૪ ક્રેડિટ ૧૨૦ કલાકની ઈન્ટર્નશિપ માટે છે ત્યારે વિદ્યાર્થીઓ માટે ઈન્ટર્નશિપ ફરજિયાત છે.જે વિદ્યાર્થી ઈન્ટર્નશિપ નહીં કરે તેને ચાર ક્રેડિટથી વંચિત રહેવાનો વારો આવશે.
સૂત્રોનું કહેવું છે કે, આર્ટસ અને કોમર્સ ફેકલ્ટીમાં વિદ્યાર્થીઓ મન ફાવે ત્યારે લેકચર એટેન્ડ કરે છે અને મન ફાવે ત્યારે ગુલ્લા મારે છે પણ ઈન્ટર્નશિપ નહીંં કરનારા ગુલ્લેબાજ વિદ્યાર્થીઓને ચાર ક્રેડિટનું નુકાસન ભોગવવું પડશે.ફેકલ્ટીઓએ આગામી દિવસોમાં આ બાબતે વિદ્યાર્થીઓને નોટિફિકેશન બહાર પાડીને, નોટિસ બોર્ડ પર જાણકારી મૂકીને જાગૃત કરવાનો પણ નિર્ણય લીધો છે.


