Gujarat

પરિક્રમાને બદલે ભગવાનની પાલખી સાથે ગુરૂ શિખર પર દર્શન કર્યા

By GS TEAM
1 Nov 20252 mins read
પરિક્રમાને બદલે ભગવાનની પાલખી સાથે ગુરૂ શિખર પર દર્શન કર્યા

મહારાષ્ટ્રના 400થી વધુ ભાવિકો અનોખી પરિક્રમા કરે છે  : એક સરખા ભગવા કપડાંમાં તબલ, મંજીરા સાથે ગુરૂ દત્તાત્રેય ભગવાનની બાવની બોલતા-બોલતા પરિક્રમા કરતા હોય છે 

જૂનાગઢ, : ગિરનારની લીલી પરિક્રમા લાખો ભાવિકોની આસ્થા સાથે જોડાયેલી છે. દેશના અલગ-અલગ ખુણેથી યાત્રિકો પૂણ્યનું ભાથું બાંધવા લીલી પરિક્રમા કરવા આવે છે. મહારાષ્ટ્રથી 400 થી વધુ ભાવિકોનું ગ્રુપ  દર વર્ષે દત્ત મહારાજની પાલખી લઈ પરિક્રમા કરે છે પરંતુ આ વખતે પરિક્રમા રદ થવાના કારણે ગિરનાર પર્વત પર દત્તાત્રેય ભગવાનના દર્શન કરી સંતોષ માન્યો હતો.

અનેક લોકો માનતા માટે, અનેક ભાવિકો પોતાની મનોકામના માટે, અનેક ભાવિકો પૂણ્યનું ભાથું બાંધવા માટે ગિરનારની લીલી પરિક્રમા કરે છે. ગિરનારની લીલી પરિક્રમાનું અનેરૂ મહત્વ છે. છેલ્લા ઘણા વર્ષોથી મહારાષ્ટ્રના અલગ-અલગ શહેરના 400થી વધુ લોકો એક સરખા ભગવા કપડા પહેરી દત્ત મહારાજની પાલખી સાથે વાજતેગાજતે પરિક્રમા કરે છે. આ વખતે પરિક્રમા રદ થવાનો નિર્ણય થાય તે પહેલા જ તેઓ મહારાષ્ટ્રથી જૂનાગઢ ખાતે પહોંચી ગયા હતા. જેવી રીતે પરિક્રમા કરે છે તેવી જ રીતે પરિક્રમાને બદલે ગિરનારની સીડી ચડી ગુરૂ શિખર પર દત્તાત્રેય ભગવાનના પાલખી સાથે વાજતેગાજતે દર્શન કરી ધન્યતા અનુભવી હતી. મહારાષ્ટ્રથી લીલી પરિક્રમા કરવા આવતા પુરૂષો સાથે મોટી સંખ્યામાં મહિલાઓ પણ પૂણ્યનું ભાથું બાંધવા આસ્થા સાથે આવે છે. દર વખતે લીલી પરિક્રમા સમયે મહારાષ્ટ્રનું ગ્રુપ લાખો પરિક્રમાર્થીઓ માટે પ્રેરણારૂપ બને છે. તબલા, મંજીરા સાથે ભગવાન ગુરૂ દત્તની બાવની બોલતા બોલતા 36 કિલોમીટરનો રૂટ પસાર કરે છે. આ વખતે તેવી જ રીતે ગુરૂ દત્તાત્રેય ભગવાનની બાવની સાથે ગિરનારની યાત્રા કરી હતી.