ઉદ્યોગોના માલિકોએ બહારથી આવેલા શ્રમિકોનો સ્વખર્ચે ટેસ્ટ કરાવવો પડશે
હોમ આઈસોલેશન હોય તેવાના ઘરની બહાર ફરજ્યાત સ્ટીકર લગાવવા પડશે ઃ ટેસ્ટ બાદ મ્યુનિ. તંત્ર SMSથી જાણ કરશે
સરકારી કચેરીમાં પણ એસ.ઓ.પી.નું ફરજ્યાત પાલન કરવું પડશે
સુરત, તા. 19 જુલાઈ, 2020.
રવિવાર
સુરતમાં
કોરોનાનું સંક્રમણ રોકવા માટે વિવિધ ઉદ્યોગો શરૃ કરવા માટે બહારથી લાવવામાં આવતા શ્રમજીવીઓના
રેપીડ ટેસ્ટ તેમના માલિકોએ ફરજ્યાત કરાવવા પડશે બહારથી આવેલા શ્રમિકોના સાત દિવસ ફરજ્યાત
કોરોન્ટાઈન કર્યા પછી જ કામ પર રાખી શકાશે.
આ નિયમોનો ભંગ કરનારા સામે પગલાં ભરવામાં આવશે.
સુરત શહેરમાં અનલોક બાદ કાપડ, હીરા અને બાંધકામ ઉદ્યોગ સહિત અન્ય ઉદ્યોગ માટે બહારગામથી શ્રમિકો આવી રહ્યા છે. બહારથી આવતાં શ્રમિકો સંક્રમિત છે કે નહીં? તેની ચકાસણી બાદ જ તેમને કામ ઉપર રાખી શકાશે તેવો નિર્ણય મ્યુનિ. અને સરકારના અધિકારીઓ વચ્ચેની બેઠકમાં લેવાયો હતો. આ બેઠક બાદ જાહેરાત કરવામાં આવી કે, વિવિધ ઉદ્યોગો માટે અન્ય વિસ્તારોમાંથી શ્રમિકો સુરત આવી રહ્યાં છે તેના માલિકોએ શ્રમિકાનો એન્ટીજન્ટ ટેસ્ટ સ્વખર્ચે અને ફરજ્યાત કરાવવાના રહેશે. બહારથી આવેલા શ્રમિકોને સાત દિવસ માટે ફરજ્યાત હોમ કોરોન્ટાઈન કરાયા બાદ જ કામ પર રાખી શકાશે. સુરતમાં ખાનગી ઓફિસ અને વેપાર ધંધા માટે એસ.ઓ.પી. બનાવવામા આવી છે તેવી જ રીતે સરકારી કચેરીમાં પણ પાલન કરવાનું રહેશે. ખાનગી કચેરીની જેમ સરકારી કચેરીમાં પણ કર્મચારીઓ ભેગા મળીને ચા-નાસ્તો કે ભોજન કરી શકશે નહીં. જે લોકો કોવિડનો ટેસ્ટ કરાવે છે તે પોઝિટિવ હશે એટલે મ્યુનિ. તંત્ર દ્વારા પોઝીટીવ વ્યક્તિને એસ.એમ.એસ.થી જાણકારી આપશે. અને જે-તે ઝોનના ઝોનલ ચીફ અને નાયબ આરોગ્ય અધિકારીને જાણ કરવામાં આવશે. જે લોકોને હોમ આઈસોલેશન કરવામાં આવ્યા છે, તેમના ઘરની બહાર સ્ટીકર લગાવીને અન્ય લોકોને જાણકારી આપવાનું પણ ફરજ્યાત છે. જે વિસ્તારને કન્ટેઇનમેન્ટ જાહેર કરવામાં આવ્યા છે, તે વિસ્તારમાં લોકોને જીવન જરૃરિયાતની વસ્તુ મળી રહે તે માટે અલગ વ્યવસ્થા ઝોન દ્વારા કરવાની રહેશે. આ ઉપરાંત હાલમા હોટલ, રેસ્ટેન્ટર, માર્કેટ, મોલ વિગેરે શરૃ કરાયા છે તેમાં નિયમોનું પાલન થાય તે માટે સઘન ચેકીંગ કરવાની જવાબદારી ઝોનને સોંપવામાં આવી છે.