લોકકલાના સંગમ સમો 'ઇન્ડિયન ફોક કાર્નિવલ' અમદાવાદમાં સંપન્ન, દેશભરના કલાકારોએ મંત્રમુગ્ધ કર્યા
Indian Folk Carnival: ગુજરાત લોકકલા ફાઉન્ડેશન દ્વારા અમદાવાદમાં આયોજિત ત્રણ-દિવસીય ઇન્ડિયન ફોક કાર્નિવલનું પહેલી જૂને ભવ્ય સમાપન થયું. કર્ણાવતી ક્લબ ખાતે 30મી મેથી 1લી જૂન દરમિયાન યોજાયેલા આ ઉત્સવમાં દેશભરના 1000થી વધુ લોકકલાકારોએ પોતાની અદભુત પ્રસ્તુતિઓ દ્વારા 'એક ભારત, શ્રેષ્ઠ ભારત'ની સંકલ્પનાને સાકાર કરી.
50થી વધુ લોકનૃત્યો રજૂ કરાયા
આ કાર્નિવલમાં માત્ર ગુજરાતના જ નહીં, પરંતુ રાજસ્થાન, ઉત્તરપ્રદેશ, પંજાબ, ઓડિશા, આંધ્રપ્રદેશ, છત્તીસગઢ, તમિલનાડુ, મહારાષ્ટ્ર જેવાં વિવિધ રાજ્યોના કલાકારોએ પણ પોતાની પારંપારિક લોકનૃત્યો અને લોકકલાઓ રજૂ કરીને સાંસ્કૃતિક વિરાસતને જીવંત કરી હતી. કુલ 50થી વધુ લોકનૃત્યો રજૂ કરવામાં આવ્યા હતા, જે દર્શકો માટે એક યાદગાર અનુભવ બની રહ્યો.
આ પણ વાંચો: સુરતના એમ્બ્રોઇડરીના કારખાનામાં કૂટણખાનું પકડાયું, 6 ગ્રાહકો સહિત 10 ઝડપાયા
કાર્નિવલની વિશેષતાઓ:
પ્રથમ દિવસે ગુજરાતના વિવિધ પ્રાંતના પરંપરાગત લોકનૃત્યો રજૂ થયા. બીજા દિવસે આદિવાસી લોકનૃત્યોની ભવ્ય પ્રસ્તુતિ થઈ. ત્રીજા દિવસે દેશના જુદા જુદા રાજ્યોના પારંપારિક લોકનૃત્યોની કલા પ્રસ્તુતિ લોકોએ મન ભરીને માણી. આ ઉપરાંત, કાર્નિવલ દરમિયાન બે વર્કશોપ, બે આર્ટ ગેલેરી અને 10થી વધુ એવોર્ડ્સ પણ પ્રદાન કરવામાં આવ્યા.
ગુજરાત લોકકલા ફાઉન્ડેશન વિશે:
ઉલ્લેખનીય છે કે, ગુજરાત લોકકલા ફાઉન્ડેશન દેશની એવી એકમાત્ર સંસ્થા છે જેની સાથે 5,000થી પણ વધુ લોકકલાકારો જોડાયેલા છે. આ સંસ્થા આ કલાકારોને દેશ-વિદેશમાં પોતાની કલા પ્રદર્શિત કરવા માટે પ્લેટફોર્મ પૂરું પાડે છે. સંસ્થાના સ્થાપક અને લોકકલાવિદ પદ્મશ્રી જોરાવરસિંહ જાદવે આ કાર્નિવલ વિશે જણાવ્યું કે, "ગુજરાત લોકકલા ફાઉન્ડેશનનું મંચ એ તળના કલાકારો પાસે રહેલી ટોચની કળા પીરસવાનું ભારતનું સૌથી મોટું મંચ છે."
આ કાર્નિવલ ભારતીય સંસ્કૃતિની વિવિધતા અને એકતાનું પ્રતિક બની રહ્યો અને લોકકલાને પ્રોત્સાહન આપવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી.