Get The App

2050 સુધીમાં ભારતને 50 લાખ જેટલા સીએની જરુર પડશે

Updated: Jun 6th, 2025

GS TEAM


Google News
Google News
2050 સુધીમાં ભારતને 50 લાખ જેટલા સીએની જરુર પડશે 1 - image

વડોદરાઃ અત્યારે ભારતમાં લગભગ ૪.૮૫ લાખ જેટલા ચાર્ટર્ડ એકાઉન્ટન્ટસ છે અને ભારતનું અર્થતંત્ર જે ઝડપથી  વિકસી રહ્યું છે તે જોતા ૨૦૫૦ સુધીમાં ભારતને ૫૦ લાખ સીએની જરુર પડશે તેમ  આઈસીએઆઈ( ઈન્સ્ટિટયુટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટસ ઓફ ઈન્ડિયા)ના પ્રમુખ ચરણજોતસિંહ નંદાએ પત્રકારો સાથે વાતચીતમાં કહ્યું હતું.

આઈસીએઆઈના વડોદરા ચેપ્ટર દ્વારા શહેરમાં સીએ માટે વેદા એક્સેલન્સ...શિર્ષક હેઠળ બે દિવસની નેશનલ કોન્ફરન્સનું આયોજન કરાયું છે.જેના ઉદઘાટન સમારોહમાં હાજર રહેલા ચરણજોતસિંહ નંદાએ કહ્યું હતું કે, પહેલા કરતા ઘણા વધારે વિદ્યાર્થીઓ સીએનો અભ્યાસ કરી રહ્યા છે.વિદ્યાર્થીઓનું પરિણામ પણ સારુ આવે છે.જોકે ઈન્સ્ટિટયૂટ દ્વારા વધારે પરિણામ આવે તે માટે  વિદ્યાર્થીઓને પરીક્ષાની ઉત્તરવહીઓના ચેકિંગમાં કોઈ રાહત અપાતી નથી.ઈન્સ્ટિટયુટ  પરીક્ષા લેવામાં કોઈ લાપરવાહી ના વરતાય તેવો સતત પ્રયત્ન કરે છે.બીજી શૈક્ષણિક સંસ્થાઓએ આઈસીએઆઈ પાસે પરીક્ષા કેવી રીતે લેવાય તે શીખવા જેવું છે તેવું ખુદ સુપ્રીમ કોર્ટે કહ્યું છે.

તેમણે કહ્યું હતું કે, એઆઈના કારણે સીએને હવે ઘણી મદદ મળી રહી છે.સીએ માટે હવે એઆઈનો એક વિશેષ કોર્સ શરુ કરવામાં આવ્યો છે.સીએ માટે અમે એક વિશેષ એઆઈ પ્લેટફોર્મ પૂરુ પાડયું છે.જે તેમનો સમય બચાવશે.આમ છતા  એઆઈ ક્યારેય સીએનું સ્થાન નહીં લઈ શકે.ચરણજોતસિંહે કહ્યું હતું કે, જે વિદ્યાર્થીઓ સીએની ડિગ્રી મેળવે છે તેમને તો સારી તકો મળે જ છે પરંતુ સીએનો અભ્યાસ કર્યા પછી પરીક્ષા પાસ નહીં કરી શકનારા વિદ્યાર્થીઓ પણ ઈન્ટર્નશિપ અને સીએના અભ્યાસના અનુભવના આધારે સારામાં સારો પગાર મેળવી રહ્યા છે.

સીએ સિવાય કોઈને ઓડિટની છૂટ મળવી જોઈએ નહીં 

સીએમએ એટલે કે કોસ્ટ એકાઉન્ટન્ટ મેનેજમેન્ટના સંગઠન દ્વારા તાજેતરમાં તેમને ઓડિટ કરવાની મંજૂરી આપવામાં આવે તેવી માંગણી કરવામાં આવી છે.જેના જવાબમાં ચરણજોતસિંહ નંદાએ કહ્યું હતું કે, અમે આ માગણીનો વિરોધ કરીએ છે.ઓડિટનું કામ સીએનું છે અને તે કામગીરી સીએ પાસે જ રહેવા દેવી જોઈએ.

એક વર્ષમાં ૩૪૪ સીએ સામે ફરિયાદો મળી 

તેમણે કહ્યું હતું કે, આઈસીએઆઈ ઝીરો કરપ્શનના મંત્ર સાથે કામ કરે છે.જો કોઈ સીએ સામે કોઈ બાબતની ફરિયાદ આવે તો તેના પર પણ કાર્યવાહી કરવામાં આવે છે અને ફરિયાદ સાચી હોય તો સીએ પર  નાણાકીય પેનલ્ટીથી માંડીને પ્રેક્ટિસ પર પ્રતિબંધ સુધીની કાર્યવાહી કરવામાં આવે છે.આ માટે ઈન્સ્ટિટયુટ દ્વારા એક ડિસિપ્લિનરી કમિટિ બનાવવામાં આવી છે.આ કમિટિ પાસે ગત વર્ષે ૩૪૪ જેટલા સીએ સામે ફરિયાદો આવી હતી અને તેના પર કાર્યવાહી ચાલી રહી છે.

એઆઈના કારણે કેટલીક કામગીરીમાં ૭૦ થી ૮૦ ટકા સમય બચે છે 

કોન્ફરન્સમાં સામેલ થયેલા સીએના જણાવ્યા પ્રમાણે એઆઈનો ઉપયોગ કરવા સીએને ધ્યાનમાં રાખીને આઈસીએએઆઈ દ્વારા વિશેષ પ્લેટફોર્મ તૈયાર કરાયું છે અને તેના ઉપયોગના કારણે નોટિસનો જવાબ આપવા જેવી કેટલીક કામગીરીમાં સીએનો ૭૦ થી ૮૦ ટકા જેટલો સમય બચી જાય છે.


Tags :