Gujarat

2035 સુધીમાં ભારતનું સ્પેસ સ્ટેશન અને મંગળ ઉપર માનવ વસાહત હશે

By GS TEAM
3 Jan 20262 mins read
2035 સુધીમાં ભારતનું સ્પેસ સ્ટેશન અને મંગળ ઉપર માનવ વસાહત હશે

ઇસરોના ચેરમેનનું પ્રાંસલાની રાષ્ટ્રકથામાં સંબોધન : વિજ્ઞાન, સુરક્ષા અને કાનૂન ક્ષેત્રેના રાષ્ટ્રીય સ્તરના મહાનુભાવોના પ્રેરક પ્રવચનો યોજાયા  

પ્રાંસલા(ઉપલેટા), : ઉપલેટાના પ્રાંસલા મુકામે સ્વામી ધર્મબંધુજી પ્રેરીત 26મી રાષ્ટ્રકથા શિબિરમાં આજે ઇસરોના ચેરમેન ડો.વી.નારાયણે 1962થી શરૂ થયેલા ઇસરોની આજદીન સુધીની 63 વર્ષની પ્રગતિ યાત્રાના વિવિધ તબક્કાઓ વિશે ૯ મિનિટની ડોક્યુમેન્ટ્રી રજૂ કરવા સાથે 12,000 થી વધુ યુવા શિબિરાર્થીઓને સંબોધન કરતા કહ્યું કે, વર્ષ 2035 સુધીમાં અવકાશમાં ભારતનું પણ સ્પેસ સ્ટેશન હશે અને મંગળ ગ્રહ ઉપર માનવ વસાહત હશે, એ દિશામાં પ્રયાસો ચાલુ છે. 

વધુમાં તેમણે ભારતીય અંતરિક્ષ વિજ્ઞાાનીઓની સિધ્ધીઓ વર્ણવતા જણાવ્યું કે, 'રિયુઝેબલ લોન્ચ વ્હીકલ નિર્માણ અને સેટેલાઇટ માટે પેલોડમાં સફળતા મળી છે. આવી જ સિધ્ધિ છે વિશ્વમાં સૌપ્રથમ ચંદ્રના દક્ષિણ ધુ્રવ ઉપર તેમજ મંગળયાન ઉપર પહોંચવું. એક સમય હતો આપણે અમેરિકાની સહાયથી આપણે ઉપગ્રહ અવકાશમાં મુકતા હતા, આજે અમેરિકાનો ૬૧૦૦ કિ.ગ્રા.નો સૌથી વજનદાર ઉપગ્રહ બ્લ્યુબર્ડ બ્લોક-3ને ભારતે વ્યવસાયિક ધોરણે લોન્ચ કર્યો છે.'

ઇસરો સાથે સંલગ્ન એમસીએફના ડો.પંકજ કિલધરે સ્પેસ ટેકનોલોજી સાથે સંકળાયેલા વિવિધ વિભાગો અને તેની કામગીરીનો પરિચય આપવા સાથે વકતવ્યમાં વિવિધ પ્રકારના લોન્ચ વ્હીકલ, ગગનયાન, નાસા અને ઇસરોના સંયુક્ત સાહસ નિસારની માહિતી આપી હતી. જ્યારે આજે સ્વામી ધર્મબંધુજીએ કોઇપણ કાર્ય કરતા પહેલા ચાર સિધ્ધાંતો વિશે આત્મપરિક્ષણ કરવા અનુરોધ કર્યો હતો. આજે રાષ્ટ્રકથામાં ડો.વિક્રમ સારાભાઇ સ્પેસ સેન્ટરના ડિરેક્ટર ડો.એ.રાજારાજન, કેન્દ્રીય લો કમિશનના ચેરમેન દિનેશ મહેશ્વરી, લોકપાલના જયુડીશીયલ મેમ્બર જસ્ટીસ તુરાજ અવસ્થી, સીઆરપીએફના પશ્ચિમ ક્ષેત્રના આઇ.જી. વિરેન્દ્ર અગ્રવાલ, એરમાર્શલ આશુતોષ દિક્ષીત, કેન્દ્ર સરકારના સાયબર સિકયુરીટી સલાહકાર ડો.નિશિકાન્ત ઓઝા એમ આજે વિજ્ઞાાન, સુરક્ષા અને કાનૂન ક્ષેત્રેના રાષ્ટ્રીય સ્તરના મહાનુભાવોના પ્રેરક પ્રવચનો યોજાયા હતા.