Gujarat

વડોદરામાં ઝૂમાં મગર, કાચબાના ઈંડાનું કૃત્રિમ રીતે સેવન, બચ્ચાને વિશ્વામિત્રીમાં છોડાયા

By GS TEAM
11 Sep 20252 mins read
વડોદરામાં ઝૂમાં મગર, કાચબાના ઈંડાનું કૃત્રિમ રીતે સેવન, બચ્ચાને વિશ્વામિત્રીમાં છોડાયા

symbolic image 

વડોદરાઃ વડોદરા ઝૂમાં મગર અને કાચબાના ઈંડાનું કૃત્રિમ રીતે સેવન કરવામાં આવ્યા બાદ તેમાંથી પેદા થયેલા બચ્ચાને વિશ્વામિત્રી નદીમાં છોડવામાં આવ્યા છે.

લગભગ બે મહિના અગાઉ વિશ્વામિત્રી નદીને પહોળી કરવાની કામગીરી દરમિયાન મગરના લગભગ ૪૦ અને કાચબાના ૫૦ જેટલા ઈંડા મળી આવ્યા હતા.વડોદરા ઝૂ દ્વારા વન વિભાગને આ ઈંડાને કૃત્રિમ રીતે સેવવામાં મદદ કરવામાં આવી હતી.

ઝૂ ક્યુરેટર પ્રત્યુષ પાટણકરનું કહેવું છે કે, મગરના ઈંડા અને કાચબાના ઈંડાને લગભગ ૨૯ થી ૩૨ ડિગ્રી તાપમાનની અને ૬૫ થી ૭૦ ટકા ભેજવાળા વાતાવરણની જરુર પડતી હોય છે.અમે ખોખામાં માટી વચ્ચે આ ઈંડા રાખ્યા હતા અને મગરના ૪૦ પૈકી ૧૬ જેટલા ઈંડામાંથી અને કાચબાના ૫૦ પૈકી ૨૦ જેટલા ઈંડામાંથી બચ્ચાનો જન્મ થયો હતો.

આ ઈંડાને લગભગ બે મહિના સુધી આ પ્રકારના વાતાવરણમાં રાખવામાં આવ્યા હતા.ઈંડાને અનુકુળ વાતાવરણ જળવાઈ રહે તેનું ધ્યાન રાખવામાં આવ્યું હતું. મગર અને કાચબાના લગભગ ૪૦ થી ૫૦ ટકા ઈંડામાંથી બચ્ચાનો જન્મ થયો હતો.જેને વિશ્વામિત્રી નદીમાં છોડવામાં આવ્યા હતા.

ઉલ્લેખનીય છે કે, વિશ્વામિત્રી નદીમાં મગરોની વસતી ૪૦૦ ઉપર પહોંચી ગઈ છે.લેટેસ્ટ વસતી ગણતરી પ્રમાણે શહેરની વચ્ચેથી વહેતી વિશ્વામિત્રી નદીમાં ૪૩૨ મગરો છે.તેમાં પહેલી વખત કૃત્રિમ રીતે સેવવામાં આવેલા ઈંડામાંથી જન્મેલા બચ્ચાનો પણ ઉમેરો થયો છે

મગર એક સમયે ૬૫ થી ૭૦ અને કાચબો મહત્તમ ૧૦૦ જેટલા ઈંડા મૂકે છે 

 સામાન્ય રીતે એક માદા મગર એક સાથે ૬૫ થી ૭૦ જેટલા ઈંડા મૂકે છે.મોટાભાગના બચ્ચા તેમાંથી નીકળે છે પરંતુ એ પછી તેમાંથી ૧૦ ટકા જ બચ્ચા બચી શકે છે.જ્યારે સોફટ શેલ ટર્ટલ પ્રકારના કાચબા( આ પ્રજાતિ વિશ્વામિત્રી નદીમાં જોવા મળે છે) એક સમયે ૧૦૦ સુધી ઈંડા મૂકી શકે છે.જોકે તેમાંથી જન્મતા બચ્ચા પૈકી ગણતરીના જ પોતાનું અસ્તિત્વ ટકાવી શકે છે.કારણકે આ ઈંડાને અન્ય પ્રાણીઓથી ખતરો વધારે હોય છે.