ચાણોદમાં સાધ્વીજીની કઠોર શિવ આરાધના, 45 દિવસ સુધી રોજ 20 કલાક નર્મદા જળમાં પદ્માસન
Mother Durgagiriji : દક્ષિણ પ્રયાગ તીર્થ તરીકે ઓળખાતા ડભોઇ તાલુકામાં નર્મદા કિનારે આવેલા ચાણોદનાં ચક્રતીર્થ ઘાટ પાસે એક સાધ્વીજીએ કઠોર તપસ્યાનો પ્રારંભ કર્યો છે. ગુરૂ શ્રી વિશ્વંભરીજી મહારાજના શિષ્યા શિવ આરાધક મા દુર્ગા ગિરીજીએ 45 દિવસના અનુાનનો આરંભ કર્યો છે. આ અનુષ્ઠાન કઠોર એટલા માટે છે કે 45 દિવસ સુધી અન્ન-જળનો ત્યાગ કરી રોજ 20 કલાક નર્મદા નદીમાં પદ્માસન લગાવીને શિવ આરાધના કરી રહ્યા છે.
તા. 28 માર્ચ ફાગણ વદ ચૌદસથી સાધ્વીજીએ અનુષ્ઠાનનો પ્રારંભ કર્યો છે. તા.13 મે સુધી અનુષ્ઠાન ચાલશે. આ જળ અનુષ્ઠાન છે. નર્મદા જળમાં તેઓ પદ્માસન લગાવીને એ રીતે બેસે છે કે પાણી ગળા સુધી આવે. નદીમાં મગરો હોવાથી માતાજીની આસપાસ લોખંડની જાળી લગાવવામાં આવી છે. તેઓ 45 દિવસ મૌન ધારણ કરશે. રોજ આશરે 18 થી 20 કલાક તેઓ જળમા રહે છે. માત્ર 4 કલાક તેઓ પાણીમાંથી બહાર આવે છે.
માતાજી 15 વર્ષ સુધી ભોજનમાં માત્ર 1 કિલો મરચા આરોગતા હતા
દુર્ગા ગિરીજી માતાજીના અનુયાયી નિર્મલસિંહ વાળાએ એક આશ્ચર્યજનક માહિતી આપી હતી કે માતાજીની ઉમર 10 વર્ષની હતી ત્યારથી તેઓ અનુષ્ઠાન કરી રહ્યા છે. હાલ તેઓની ઉમર આશરે 45-46 વર્ષ હશે. તેઓનો મોટાભાગનો સમય અનુષ્ટાનમાં ગયો છે પરંતુ જ્યારે તેઓ અનુષ્ઠાનમાં નહોય ત્યારે તેઓ 24 કલાકમાં એક જ વખત ભોજન કરતા હતા અને ભોજનમાં એક કિલો તિખા મરચા આરોગતા હતા. 15 વર્ષ સુધી તેઓએ ભોજનમાં માત્ર મરચા આરોગ્યા હતા. જે બાદ તેમના ગુરૂના આદેશ બાદ સાદું ભોજન શરૂ કર્યુ હતું.