મ્યુનિ.હદમાં સમાવાયેલા હંસપુરા,શીલજ,કઠવાડા તથા ચેનપુર સ્મશાન હવે કોર્પોરેશન હસ્તક

અમદાવાદ,શુક્રવાર,12 સપ્ટેમબર,2025
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન હદમાં સમાવાયેલા હંસપુરા, શીલજ,કઠવાડા તથા
ચેનપુર સ્મશાનગૃહ હવે કોર્પોરેશન હસ્તક લેવાશે. જે તે સમયે પંચાયત હસ્તકના આ
સ્મશાનગૃહમાં જરુરી સમારકામ કરી પ્રાથમિક સુવિધા પુરી પાડવા કલેકટર પાસેથી આ
સ્મશાનગૃહો કોર્પોરેશન હસ્તક આવશે.
વર્ષ-૨૦૨૦-૨૧માં
સિમાંકન પછી કોર્પોરેશન હદમા નવા વિસ્તારોનો સમાવેશ કરાયો હતો. આ ચાર
સ્મશાનગૃહ કોર્પોરેશન હસ્તક લેવા હેલ્થ કમિટીમાં દરખાસ્ત મંજૂર કરાઈ
હતી.કોર્પોરેશન દ્વારા આગામી સમયમાં આ સ્મશાનગૃહોમાં કમ્પાઉન્ડ વોલ, દરવાજો બનાવવામા
આવશે. આ ઉપરાંત મૃતદેહના અંતિમવિધી માટે ચિતાની વ્યવસ્થા કરાશે.ઉપરના ભાગમા પતરાના
શેડની સાથે ડાઘુઓને બેસવા માટે વિસામાની વ્યવસ્થા કરાશે.પીવાના પાણીની પરબ, નોંધણીદારની ઓફિસ, સી.સી.ટી.વી.કેમેરા
સહીતની અન્ય સુવિધા ઉપલબ્ધ કરાવાશે.ચેનપુર ખાતે હયાત સ્મશાનગૃહ ઉપરાંત નવુ સ્મશાન
બનાવવા આસપાસના બે કિલોમીટરમાં પ્લોટ શોધવા કોર્પોરેશન તરફથી પ્રયાસ કરાશે. હાલના
સ્મશાનની આસપાસ રહેણાંકો મોટી સંખ્યામાં થઈ ગયા હોવાથી જો નજીકમા જગ્યા મળશે તો
નવુ સ્મશાન બનાવવા વિચારણા કરાશે.








