- દિવાળી અગાઉ થયેલા ઝઘડાની અદાવતમાં સંતોષનગરના 25 વર્ષીય રત્નકલાકાર રાકેશ ઉર્ફે સોનુ વાઘમારેને બાજુના બજરંગનગરમાં ગણેશ ઉર્ફે ગણીયો અને તેના ચાર મિત્રોએ મારી નાખ્યો
( પ્રતિનિધિ દ્વારા ) સુરત, શુક્રવાર
સુરતના લીંબાયત બજરંગનગરમાં શુક્રવારે રાત્રે રત્નકલાકાર યુવાનને દિવાળી અગાઉ થયેલા ઝઘડાની અદાવતમાં તેના પિતા અને ભાઈની નજર સામે પાંચ યુવાનોએ તિક્ષ્ણ હથિયારના આડેધડ ઘા ઝીંકી રહેંસી નાંખ્યો હતો.
પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ મૂળ મહારાષ્ટ્રના અકોલાનો વતની અને હાલ સુરતમાં લીંબાયત સંતોષનગર પ્લોટ નં.303 માં પત્ની શીતલ, માતાપિતા અને ભાઈબહેન સાથે સંયુક્ત પરિવારમાં રહેતો 25 વર્ષીય રાકેશ ઉર્ફે સોનુ રાજુભાઈ વાઘમારે ગતરાત્રે 8.30 વાગ્યે પોતાના ઘરેથી સોસાયટીની બહાર ગયો હતો. રાત્રે 10 વાગ્યે તેના પિતા રાજુભાઈએ ઘરે આવી મોટા પુત્ર જગદીશ ઉર્ફે પિન્ટુને કહ્યું હતું કે રાકેશ ઉર્ફે સોનુને બજરંગનગરમાં ગણેશ ઉર્ફે ગણીયો ( રહે.બજરંગનગર, લીંબાયત, સુરત ) અને તેના મિત્રો મારે છે. આથી જગદીશ તેના પિતા સાથે એક્ટીવા પર ત્યાં દોડી ગયો હતો. ત્યાં જોયું તો પ્લોટ નં.62 ની બાજુમાં રોડ પર ગણેશ અને તેના મિત્રો વિક્કી, વિક્રમ, કરણ અને કિશન તિક્ષ્ણ હથિયારના આડેધડ ઘા મારતા હતા.
જગદીશ અને તેના પિતા બૂમો પાડતા તેમની તરફ દોડતા ગણેશ અને તેના મિત્રો ભાગી છૂટ્યા હતા. રાકેશ લોહીલુહાણ હાલતમાં રોડ પર પડેલો હોય અને હલનચલન કરતો ન હોય તેને 108 એમ્બ્યુલન્સમાં સારવાર માટે સ્મીમેર હોસ્પિટલમાં લઈ ગયા હતા. જોકે, ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કર્યો હતો. ગત દિવાળી અગાઉ રાકેશનો પોતાના ઘર નજીક ગણેશ ઉર્ફે ગણીયો સાથે ઝઘડો થતા બંને વચ્ચે ઝપાઝપી થઈ હતો. તે સમયે સ્થાનિકોએ તેમને છૂટા પાડયા હતા. જોકે, એક કલાક બાદ ગણેશ ચપ્પુ લઈ મારવા આવતા તેને રાકેશ અને તેના પિતાએ માર માર્યો હતો. ત્યાર બાદ બંને વચ્ચે અવારનવાર ઝઘડા થતા હતા અને તેની અદાવતમાં જ ગતરાત્રે રાકેશની હત્યા કરી દેવાઈ હતી. લીંબાયત પોલીસે હત્યાનો ગુનો નોંધી આરોપીઓને ઝડપી પાડવા તજવીજ હાથ ધરી છે.


