app-icon
For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!app{play}
FOLLOW US

થરાદમાં વિધાનસભા અધ્યક્ષ આકરા પાણીએ, શંકર ચોધરીએ કહ્યું દાંડાઈ કરનારને જવાબ મળશે

કોઈપણ આગેવાનથી પ્રજાને મુશ્કેલી પડી તો પછી કાયદો કાયદાનું કામ કરશે

Updated: Jan 23rd, 2023

image- facebook



થરાદ, 23 જાન્યુઆરી 2023 સોમવાર

ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ અને થરાદના ધારાસભ્ય શંકર ચૌધરીના આકરા તેવરનો એક વીડિયો વાયરલ થયો છે. જેમાં તેઓ જાહેર મંચ પરથી કહી રહ્યા છે કે 'કોઈએ ભૂલથી પણ અખતરો કરવો નહીં, માખી કરડે તો તેનું પરિણામ આખા મધપુડાને ભોગવવું પડશે. હું ધ્યાન પણ રાખીશ અને હિસાબ પણ રાખીશ. વિધાનસભાની ચૂંટણીના પ્રચારમાં પણ શંકર ચૌધરી ચર્ચામાં આવ્યા હતા. એ સમયે તેમણે કહ્યું હતું કે 'મારા કાર્યકર્તાઓને ધમકાવનારાઓની સીધી મારી સાથે દુશ્મનાવટ છે એમ સમજજો, તેમની ભાષામાં જવાબ આપવાની વ્યવસ્થા થશે અને કોઈ તમારી ગાડી રોકે તો કહેજો થરાદથી આવું છું. થરાદના દુધવામાં મતવિસ્તારની મુલાકાત અને આભાર દર્શન કરવા દરમિયાન શંકર ચૌધરીએ તોફાની તત્વોને કડક શબ્દોમાં ચેતવણી આપી હતી. 

ખોટા અખતરા કરનારા ભૂલથી પણ અખતરા ના કરે
આ વીડિયોમાં તેઓ કહી રહ્યાં છે કે, કોઈપણ આવારા તત્વો દ્વારા આગેવાન, કાર્યકર્તા કે પછી પ્રજાને તકલીફ પડી તો કાયદો કાયદાનું કામ કરશે. જો પ્રેમ અને લાગણી રાખશે તેના માટે ચાર વખત નમીશ. પરંતુ જો કોઈ દાંડાઈ કરશે તો તેને એની જ ભાષામાં જવાબ કાયદો આપશે.ખોટા અખતરા કરનારા ભૂલથી પણ અખતરા ના કરે. વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ મતવિસ્તારની મુલાકાત દરમિયાન તોફાની તત્વોની શાન ઠેકાણે લાવવા આ પ્રકારનું નિવેદન આપ્યુ હતું.

સ્વભાવ અને ઇતિહાસ બધાએ જોઈ લેવો પડે
શંકર ચૌધરીનો સામે આવેલો વીડિયો થરાદના દૂધવા ગામનો છે, જ્યાં તેમણે જાહેર મંચ પરથી અસામાજિક તત્ત્વો અને માથાભારે આગેવાનોને સંબોધીને કહ્યું હતું કે કોઈપણ આગેવાનથી પ્રજાને મુશ્કેલી પડી તો પછી કાયદો કાયદાનું કામ કરશે. આ વાત જાહેર મંચ પરથી એટલે કહેવી પડે છે કે સ્વભાવ અને ઇતિહાસ બધાએ જોઈ લેવો પડે અને સમજી લેવો પડે. જે પ્રેમ અને લાગણી રાખશે તેને ચાર વખત નમવાની તૈયારી, પણ જો કોઈ ટણીનો ભાવ રાખશે તો તેનો જવાબ તેની ભાષામાં જ અપાશે. હું પ્રેમ અને લાગણીથી તમારો આભાર માનવા આવ્યો છું પણ મને લાગ્યું કે દૂધવા ગામથી આ બાબત મારે કહેવી પડશે એટલે કહ્યું. 

Gujarat