અમારી જ્ઞાતિમાં 35 લાખ ન આપે તે છોકરીને અમે ઘરમાં પ્રવેશ નથી આપતા
Updated: Nov 23rd, 2022
રાજકોટમાં પિયર રહેતી પરિણીતાની આપવિતિ અમદાવાદના મણીનગર વિસ્તારમાં રહેતા પતિ સહિતના ચાર સાસરીયાઓ વિરૂધ્ધ મહિલા પોલીસમાં ફરિયાદ
રાજકોટ, : રૈયા રોડ પરના સુભાષનગર શેરી નં-6 માં રહેતા હેતલબેન નામના 44 વર્ષના પરિણિતાએ પતિ જીજ્ઞોશ પ્રાણલાલ ભટ્ટ, મોટા નણંદ રીટાબેન શૈલેષભાઈ ભટ્ટ, નાના નણંદ તૃપ્તિબેન અને ભાણેજ કૃપા (રહે. બધા હરીવીલા એપાર્ટમેન્ટ, મણીનગર, અમદાવાદ) વિરૂધ્ધ ત્રાસ અને દહેજધારા હેઠળ મહિલા પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.
ફરિયાદમાં જણાવ્યું છે કે તેણે બીએસસી સુધી અભ્યાસ કર્યો છે. છેલ્લા બે વર્ષથી પિયરમાં છે. 2018 ના રોજ લગ્ન કર્યા હતા. તેના આ બીજા લગ્ન છે. લગ્ન બાદ એક દિવસ પણ ઘર સંસાર સારી રીતે ચાલ્યો ન હતો. લગ્નના ચોથા દિવસથી જ પતિ સહિતના સાસરીયાઓએ કહ્યું કે અમારી જ્ઞાાતિમાં 35 લાખ કોઈ છોકરી આપે નહી તો અમે લોકો એવી છોકરીને ઘરમાં પગ પણ મુકવા ન આપી. આ રીતે રૂ. 35 લાખના દહેજની માંગણી કરી હતી.
બંને નણંદોએ દહેજ અને કરીયાવર બાબતે બોલાચાલી અને ઝઘડા શરૂ કર્યા હતા. પતિને પણ તેના વિરૂધ્ધ ચડામણી કરતા હતા. જેથી પતિ ઝઘડો કરી કહેતા કે તારે આ ઘરમાં રહેવું હોય તો મારી બહેનો કહે તેમ જ કરવું પડશે, નહીતર પિયર જતી રહે. તેના આ બીજા લગ્ન હોવાથી મુંગે મોઢે ત્રાસ સહન કરતા હતા.
સાસરીયા પક્ષના સભ્યોએ એક તબક્કે તેની સાથે વાતચીત કરવાનું પણ બંધ કરી દીધું હતું. ભાણેજ આ તારા બીજા લગ્ન છે તું મર્યાદામાં રહે તેવા મેણા મારતી હતી. મોટા નણંદ તેની હાજરીમાં પતિને છુટાછેડા આપી દેવાનું કહેતા હતા. નણંદ ઘરનું બધુ કામ તેની પાસે કરાવી ઘરની બહાર નિકળી જા તેમ કહેતી હોવાથી તે ઘર છોડી નિકળી પિયર રહેવા આવી ગયા હતા. ત્યારબાદ પતિ ઘર જમાઈ તરીકે રહેવા આવી ગયો હતો. બાદમાં પતિ સાથે ભાડાના મકાનમાં રહેવા જતા રહ્યા હતા. ત્યાં પણ પતિએ ત્રાસ આપવાનું ચાલુ રાખી તેને પહેરેલ કપડે ઘરમાંથી કાઢી મુકયા હતા. ત્યારથી રીસામણે છે. પતિ હવે સમાધાન કરવાની ના પાડતા હોવાથી આખરે ફરિયાદ નોંધાવી હતી.