કલોલના ન્યુ પંચવટી વિસ્તારમાં ગટરનું પાણી ફરીવળતા રોગચાળાનો ભય, લોકોમાં આક્રોશ
ખુલ્લામાં ગટર અને હોટેલનું દૂષિત પાણી ભરાઈ રહેતું હોવાથી સ્થાનિકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા
કલોલઃ કલોલના પંચવટી વિસ્તારમાં આવેલ રજવાડી ઠાઠ હોટલની પાછળની ખુલ્લી જગ્યામાં ગટરના ખુલ્લા પાણી ભરાવાથી સ્થાનિક રહીશોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. ગટરના પાણીને કારણે રોગચાળો ફાટી નીકળે તેવી શક્યતા હોવાથી પાસે આવેલા સાત્વિક બંગ્લોઝના રહીશોએ ગટરનું પાણી તાત્કાલિક રોકવા માટે નગરપાલિકામાં લેખિત અરજી આપી છે.
નગરપાલિકામાં અરજી લખીને માંગ કરી
કલોલના ન્યુ પંચવટી એરિયામાં આવેલ રજવાડી ઠાઠ હોટલના પાછળના ભાગમાં ઘણા સમયથી ગટરનું પાણી ભરાઈ રહે છે.જેથી આસપાસની સોસાયટીના રહીશો દુર્ગંધ અને જીવાતોથી કંટાળી ગયા છે તેમજ સૌંદર્ય અને સાત્વિક બંગલોઝમાં રહેવું દુષ્કર થઈ પડ્યું છે. ત્રસ્ત થયેલ સ્થાનિકોએ લોકોએ ગટરનું તેમજ હોટેલનું ગંદુ પાણી બંધ કરવા નગરપાલિકામાં અરજી લખીને માંગ કરી છે.
પંચવટી વિસ્તારના રહીશોમાં આક્રોશ
આ મામલે સ્થાનિકોએ જણાવ્યું હતું કે ગટરનું પાણી આવતું બંધ કરવા વીમા યોજના દવાખાના પાસે આવેલ પાલિકાની વોર્ડ ઓફિસમાં અનેક વખત રજુઆત કરવામાં આવી હોવા છતાં તંત્ર દ્વારા સમસ્યાનો ઉકેલ લાવવામાં આવતો નથી. પાલિકાના નઘરોળ વહીવટને કારણે પંચવટી વિસ્તારના રહીશોમાં આક્રોશ ફેલાયો છે.