ગુજરાતમાં કોઈપણ સમયે બદલાઈ શકે છે કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ, આ નેતાઓના નામ ચર્ચામાં
કોંગ્રેસે વિપક્ષના નેતા તરીકે OBC પર પસંદગી ઉતારી હવે પાટીદારને પ્રતિનિધિત્વ આપશે
IMAGE- FACEBOOK |
ગાંધીનગર, 18 જાન્યુઆરી 2023 બુધવાર
ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં કંગાળ પ્રદર્શન કરનાર કોંગ્રેસે આખરે વિપક્ષના નેતાની પસંદગી કરી છે. પરાજયના કારણો શોધતાં શોધતાં હવે કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ પણ બદલશે. ત્યારે ગુજરાત રાજ્ય વિધાનસભા વિરોધ પક્ષના નેતા પદે આંકલાવના ધારાસભ્ય અમિત ચાવડાની નિમણૂક કરી છે. જ્યારે ઉપનેતા તરીકે અમદાવાદની દાણીલીમડા બેઠક પરથી જીતેલા શૈલેશ પરમારની નિમણૂક કરી છે. બીજી બાજુ પ્રદેશ પ્રમુખ તરીકે કોંગ્રેસ પાસે ત્રણ નામ છે. આ નામ પર હાઈકમાન્ડ પસંદગી કરે પછી જ જાહેરાત કરવામાં આવશે.
પ્રદેશ પ્રમુખ તરીકે પાટીદાર નેતાની પસંદગી થઈ શકે
ગુજરાતમાં કોંગ્રેસે ચૂંટણીમાં સૌથી ખરાબ પ્રદર્શન કર્યું છે. ચૂંટણી પહેલાં જગદીશ ઠાકોરને પ્રદેશ પ્રમુખ બનાવવામાં આવ્યા હતાં. પરંતુ તેમના નેતૃત્વમાં કોંગ્રેસનો સૌથી ખરાબ પરાજયનો સામનો કરવો પડ્યો છે. હવે કોંગ્રેસ હાઈકમાન્ડ ગમે તે ઘડીએ પ્રદેશ પ્રમુખ બદલી શકે છે. હાલ પ્રદેશ પ્રમુખ તરીકે પરેશ ધાનાણી, અર્જુન મોઢવાડિયા અને જીતુ પટેલનું નામ ચર્ચામાં છે. કોંગ્રેસના સુત્રોના જણાવ્યા પ્રમાણે કોંગ્રેસ હવે પાટીદાર કાર્ડ રમશે. વિપક્ષ નેતા તરીકે ઓબીસીને પ્રાધાન્ય આપ્યા બાદ હવે પ્રદેશ પ્રમુખ તરીકે પાટીદાર નેતાને પસંદ કરી શકે છે.
સત્ય શોધક કમિટીની ધારાસભ્ય અને ઉમેદવારો સાથે વન ટુ વન બેઠક
ગઈકાલે યોજાયેલી બેઠકમાં ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના ધારાસભ્ય અને ઉમેદવારો સાથે ચર્ચાઓ કરવામાં આવી હતી. તમામ નેતાઓ સાથે કમિટી મેમ્બરોએ સાથે વન ટુ વન બેઠક કરી હતી. આ બેઠકમાં અમદાવાદના પણ 2 ધારાસભ્ય તથા હારેલા ઉમેદવાર હાજર રહ્યા હતા. ફેક્ટ એન્ડ ફાઈન્ડિંગ કમિટીના ચેરમેન નીતિન રાઉત તથા સભ્ય શકીલ અહમદ અને સપ્તગીરી ઉલાકા હાજર હતા. હજુ 2 દિવસ સુધી ધારાસભ્ય અને ઉમેદવારો સાથે બેઠક ચાલશે. જે બાદ રિપોર્ટ તૈયાર કરીને કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેને સોપાશે.