1917માં ગાંધીજીએ ચંપારણ સત્યાગ્રહ માટે ખેડૂતો પાસેથી પાઇ પણ લીધી ન હતી
આફ્રિકાથી ભારત પાછા ફર્યા પછી ગાંધીજીની આ પ્રથમ ચળવળ હતી
અમદાવાદ,બુધવાર
ગાંધીજી આમ તો દક્ષિણ આફ્રિકામાં સત્યાગ્રહની લડત ચલાવી હતી પરંતુ ભારત આગમન પછી ચંપારણ સત્યાગ્રહ પ્રથમ ચળવળ હતી. તેના પરીણામ સ્વરુપ ૧૦૦ વર્ષ જુનો ખેડૂતોનો પ્રશ્ન હલ થયો હતો.૧૮૫૭ના વિપ્લવ દરમિયાન દેવામાં ડૂબી ગયેલા ચંપારણના બેતિયા રાજાઓની જમીનનો કબ્જો લઇ અંગ્રેજો રાજા બની બેઠા હતા.અંગ્રેજો આ ઉપજાઉ જમીનને ગળીના ખેતરોમાં ફેરવીને ખેડૂતો પાસે કાળી મજૂરી કરાવતા હતા. એ સમયે યૂરોપમાં ગળીની સારી માંગ હોવાથી ગળીનું ઉત્પાદન દ્વારા હુંડિયામણ સારુ મળતું હતું.
ઇસ ૧૮૯૨માં ચંપારણમાં ૯૬ હજાર એકર જમીનમાં ગળીની ખેતી થતી હતી. આ વિસ્તારમાં નાના મોટા ૨૧ થી વધુ ગળીના કારખાના ધમધમતા હતા. ખેડૂતો અને મજૂરોનું શોષણ કરવા માટે ગળી પર નાના મોટા ૫૦ થી વધુ ટેકસ વસૂલવામાં આવતા હતા. બેતિયા રાજાઓએ અનેક વાર રજૂઆત કરી પરંતુ અંગ્રેજોના બહેરા કાને વાત સંભળાતી ન હતી.
૧૫ એપ્રિલ ૧૯૧૭માં મહાત્મા ગાંધી જયારે ચંપારણ આવ્યા ત્યારે ગળીના ખેતરોમાં મજૂરીયાની બદહાલી વિશે માલૂમ પડયું હતું. ચંપારણ સત્યાગ્રહ માટે ગાંધીજીના આગમનથી ખેડૂતો અને મજૂરોના ઉત્સાહમાં વધારો થયો હતો.ગાંધીજી ભાષણબાજી અને ખોટી જાહેરાતોથી દૂર રહીને માત્ર સાદગીથી જ સત્યાગ્રહ શરુ કર્યો હતો. આથી ૧૦ મહિનાનો ખર્ચ માત્ર ૨૨૦૦ રુપિયા થયો હતો.આ સત્યાગ્રહ માટે ચંપારણના ગરીબ ખેડૂતો પાસેથી રાતિ પાઇ પણ લેવામાં આવી ન હતી.
૧૦ જુન ૧૯૧૭ના રોજ અંગ્રેજોએ ચંપારણ એગ્રેરિયન તપાસ સમિતિ રચવામાં આવી હતી. નવેમ્બર ૧૯૧૭માં વિધાન પરિષદમાં એગ્રેરિયન બીલ પસાર થયું હતું જેનાથી ૧ મે ૧૯૧૮ના રોજ ગળીના ખેડૂતોને ૧૦૦ વર્ષથી થતા અન્યાયનો અંત આવ્યો હતો. ચંપારણમાં માત્ર ગાંધીજીએ માત્ર આંદોલન જ નહી શિક્ષણ અને ગ્રામોધ્ધારના અમલ અંગે પણ વિચાર કર્યો હતો. ચંપારણ સત્યાગ્રહએ મહાત્મા ગાંધી માટે ભારતમાં પ્રથમ સફળ આંદોલન હતું જેને દુનિયા ભરમાં ખ્યાતિ મળી હતી.