એશિયાટિક સિંહો સાથે સરકારની રમત: એકબાજુ કરોડોનો ખર્ચ, બીજી બાજુ રિસોર્ટ-ખનનને મંજૂરી
Asiatic Lions: એક તરફ, ગીર અભ્યારણમાં સિંહોના સંવર્ધન માટે કરોડો રૂપિયાનો ખર્ચ કરવામાં આવી રહ્યો છે, જ્યારે બીજી તરફ, પ્રતિબંધિત અભ્યારણ વિસ્તારમાં જ રિસોર્ટ, હૉમે સ્ટે, ફાર્મહાઉસ જ નહીં, ગેરકાયદેસર ખાણ ખનન માટે મંજૂરી આપવામાં આવી રહી છે. મળતિયાઓને મંજૂરી આપવા માટે રાજ્ય સરકારે જ માર્ગદર્શિકામાં સુધારો કરી દીધો હતો. ગુજરાત સરકારની બેધારી નીતિને પગલે આજે એશિયાટીક સિંહોના જીવ સામે જોખમ સર્જાયું છે. ઉલ્લેખનીય છેકે, ગીરમાં દર વર્ષે સરેરાશ 110 સિંહોના મૃત્યુ થઇ રહ્યા છે.
ગુજરાતમાં ગીર અભ્યારણ એ એશિયાટીક સિંહો માટેનું એકમાત્ર કુદરતી નિવાસસ્થાન છે. એશિયાટીક સિંહો માટે ગીરનું જંગલ એ વિશ્વમાં એકમાત્ર લેન્ડસ્કેપ છે. ગીરના સિંહોના સંવર્ધનને લઈને સરકાર ચિંતાતુર હોવનો ડોળ કરી રહી છે ત્યારે સરકાર જ આ પ્રતિબંધિત વિસ્તારોમાં હોટલો, રિસોર્ટ, હોમ સ્ટે અને ફાર્મહાઉસ બાંધવા માટેના નિયમોમાં બદલાવ કરી રહી છે.
ખુદ રાજ્ય સરકાર વર્ષ 2015માં માર્ગદર્શિકામાં સુધારો કરીને મળતિયાઓને રેસ્ટોરન્ટ, રિસોર્ટ, હોમસ્ટે, ફાર્મહાઉસ, હોમ સ્ટે પધરાવી રહી છે. આ ઉપરાંત ગેરકાયદેસર ખાણ ખનન માટે મંજૂરી પણ આપી રહી છે. અભ્યારણ વિસ્તારમાં સોલાર પ્રોજેક્ટ, પવન ચક્કી, મોબાઈલ ટાવર, સફારી પાર્કથી સિંહો સામે જોખમ સર્જાયુ છે. સિંહો અભ્યારણ છોડી શહેરો તરફ આગળ વધી રહ્યાં છે.
બેફામ ખનન ઉપરાંત ગેરકાયદેસર બાંધકામને લીધે ગીર અભ્યારણ ઓળખ ગુમાવશે તેવો ભય ઉભો થયો છે તેમ છતાં સરકાર ખુદ એશિયાટીક સિંહોના જીવ સાથે રમત રમી રહી છે. ભાજપ સરકાર વિકાસના નામે નીતનવા ગતકડાઓ કરી રહી છે.
છેલ્લા પાંચેક વર્ષમાં જ 555 સિંહોના મોત થયાં છે. દર વર્ષે સરેરાશ 110 સિંહો મોતને ભેટી રહ્યાં છે. કોંગ્રેસ પ્રવક્તા મનીષ દોશીએ જણાવ્યું હતું કે, અભ્યારણ વિસ્તારમાં બાંધકામ વન્યજીવન કોરિડોરને અવરોધિત કરશે. સાથે સાથે માનવ-પ્રાણી તકરારમાં વધારો કરશે અને સિંહોના નિવાસસ્થાનોને ખંડિત કરશે. સરકાર સિંહોના જીવ સાથે રમત રમી રહી છે.