આણંદના વહેરાખાડી પાસે મહી નદીમાંથી ગેરકાયદે રેતી ખનન
- કલેક્ટરને ગ્રામજનોની રજૂઆત
- સત્વરે રેતી ચોરી નહીં અટકાવાય તો કલેક્ટર કચેરીએ ઉપવાસ આંદોલનની ગ્રામજનોની ચિમકી
કલેક્ટરને કરાયેલી રજૂઆતમાં જણાવ્યું છે કે, આણંદ તાલુકાના વહેરાખાડી ગામેથી પસાર થતી મહી નદીમાંથી કેટલાક તત્વો દ્વારા ગેરકાયદે રીતે રેતી ખનનની પ્રવૃત્તિ મોટા પાયે ચાલી રહી છે. હાલ મહી નદીમાં પાણી હોવાથી આવા તત્વો દ્વારા નાવડી મુકી રેતી ખનન ખુલ્લે આમ કરવામાં આવી રહ્યું છે. કોઈ પણ કક્ષાએથી રેતી કાઢવા માટેની પરવાનગી લીધા વિના મોટાપાયે રેતી ખનનની ગેરકાયદેસર પ્રવૃત્તિ કેટલાક તત્વો દ્વારા આચરવામાં આવી રહી હોવાનો આક્ષેપ ગ્રામજનો દ્વારા કરવામાં આવ્યો છે.
આ અંગે જિલ્લા કક્ષાએ મદદનીશ ભુસ્તર શાસ્ત્રી સહિત વારંવાર રજૂઆત કરવા છતાં આંખ આડા કાન કરાઈ રહ્યાનો આક્ષેપ ગ્રામજનોએ કર્યો છે. ખનન માફિયા પણ બેફામ બની ગયા છે. જો કોઈ નાગરિક આ ખનન ચોરી બાબતે ક્યાંક રજુઆત કરે તો તેને ધમકીઓ આપી દબાવી દેવામાં આવે છે. વહેરાખાડીના ગ્રામજનો દ્વારા આ ગેરકાયદેસર રેતી ખનનની પ્રવૃત્તિ અટકાવવામાં આવે અન્યથા મોટી સંખ્યામાં ગ્રામજનો કલેક્ટર કચેરી ખાતે ઉપવાસ આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી રજૂઆત કલેક્ટરને કરવામાં આવી છે.