શાકમાર્કેટો તંત્રએ બંધ કરાવી તો રોડ પર શરૂ થઇ જતા સંક્રમણની ભીતિ વધી
ભીડ કરતાં પાથરણાવળા સામે પગલાં ભરાતાં ઝાંપા બજારના પાથરણાવાળાઓએે મ્યુનિ. કચેરી પર મોરચો માંડયો
રાંદેર ઝોનમાં શાક માર્કેટમાં સોશ્યલ ડિસ્ટન્સના ધજાગરા
સુરત, તા. 15 જુલાઈ, 2020, બુધવાર
સુરત મહાનગરપાલિકાના રાંદેર ઝોનમાં પાલનપોર પાટિયા અને જકાતનાકા સહિત અન્ય શાક માર્કેટમાં સોશ્યલ ડિસ્ટન્સ અને માસ્કનું પાલન ન થતાં શાક માર્કેટ બંધ કરાવી દીધી છે. મ્યુનિ. તંત્રએ માર્કેટ બંધ કરાવતાં શાકભાજી વેચાણ કરનારાઓનું ન્યુસન્સ હવે જાહેર રોડ પર આવી ગયું છે.
પાલનપોર પાટિયાથી પ્રાઈમ આર્કેડ સુધી અડધો રોડ રોકની શાકનું વેચાણ થઈ રહ્યં છે. આવી જ રીતેે જકાતનાકા વિસ્તારમાં પણ રોડ પર શાક માર્કેટ હોવાથી ભારે ભીડ થઈ રહી છે. મ્યુનિ.ના કર્મચારીઓ દુકાનદારો પર સોશ્યલ ડિસ્ટન્સ માટે રોફ કરે છે પરંતુ શાકભાજી વેચાણ કરતાં માથાભારે હોવાથી તેમની સામે કામગીરી કરતાં ગભરાઈ રહ્યાં છે. મ્યુનિ.ની આવી નીતિના કારણે સંક્રમણ વધી શકે તેવી ભીતી વ્યક્ત થઈ રહી છે.
તો બીજી તરફ ઝાંપા બજાર વિસ્તારમાં ત્રણસો જેટલા પાથરણાવાળાઓ મહોલ્લાની નજીક બેસે છે અને નિયમોનું પાલન થતું ન હોવાથી લોકોએ ફરિયાદ કરી છે. લોકોની ફરિયાદ અને સોશ્યલ ડિસ્ટન્સનું પાલન ન થતાં તંત્રએ પાથરણાવાળાઓને બંધ કરાવ્યા છે. મ્યુનિ. તંત્રએ દબાણ હટાવતાં પાથરણાવાળાઓએ મ્યુનિ. તંત્ર સામે મોરચો માંડયો હતો.