Gujarat

જમીન શ્વાસ લેશે તો આપણે શ્વાસ લઈ શકીશુ, મ્યુ.કમિશનર, હેરીટેજ વોક ભદ્રકાળી મંદિરથી જ શરુ કરવા અધિકારીઓને તાકીદ

By GS TEAM
17 Dec 20252 mins read
જમીન શ્વાસ લેશે તો આપણે શ્વાસ લઈ શકીશુ, મ્યુ.કમિશનર, હેરીટેજ વોક ભદ્રકાળી મંદિરથી જ શરુ કરવા અધિકારીઓને તાકીદ

અમદાવાદ,બુધવાર,17 ડિસેમ્બર,2025

અમદાવાદના મ્યુનિસિપલ કમિશનર બંછાનિધિ પાનીએ તમામ અધિકારીઓને ટકોર કરતા કહયુ, આપણે હવા, જમીન,તળાવ કોઈને શ્વાસ લેવા દેતા નથી. આ અંગે સંદર્ભ આપતા તેમણે કહયુ, અગાઉની પધ્ધતિ મુજબ ફૂટપાથ ફિટીંગ માટે પહેલા માટી પાથરી ઉપર પથ્થર લગાવો.જેથી પાણી જમીનમાં ઉતરી શકે.જમીન શ્વાસ લેશે તો આપણે શ્વાસ લઈ શકીશુ.હેરીટેજ વોક સ્વામિનારાયણ મંદિરના બદલે ભદ્રકાળી મંદિરથી શરુ કરવા અધિકારીઓને તાકીદ કરી હતી.

હાલમાં કોર્પોરેશનના વિવિધ વોર્ડમાં ફૂટપાથ ફીટીંગ કરતી વખતે સિમેન્ટ પાથરી ઉપર પથ્થર લગાવાય છે. આ બાબતને લઈ કમિશનરે નારાજગી વ્યકત કરતા કહયુ, પાણીને જમીનમા તો ઉતરવાની જગ્યા આપો.હવેથી તમામ વિસ્તારમા જુની પધ્ધતિ મુજબ ફૂટપાથ ફિટીંગની કામગીરી કરવી.શહેરના હાર્દ સમાન ભદ્ર પ્લાઝા વિસ્તાર દબાણમુકત થયા પછી કમિશનરે  વર્ષોથી કોટવિસ્તારમાંથી નીકળતી હેરીટેજ વોક ભદ્રકાળી મંદિરથી શરુ કરવા કહયુ હતુ. આંતરરાષ્ટ્રીય સ્તરે ભદ્રકાળી મંદિર,કિલ્લાના ઐતિહાસિક વારસાને  પહોંચાડવા દરેક કાર્યક્રમ ભદ્ર પ્લાઝા ખાતે યોજવાનુ કહેતા પબ્લિસીટી વિભાગના ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનરે જાન્યુઆરી-૨૬થી તમામ કાર્યક્રમ ભદ્ર પ્લાઝાથી શરુ કરવા આયોજન કરાશે એમ કહયુ હતુ.શહેરમા આવેલા તળાવોના ડેવલપમેન્ટ માટે માસ્ટર પ્લાન તૈયાર કરવા એસ્ટેટ વિભાગના અધિકારીઓને કહયુ હતુ.તલાવોમા થતા દબાણો દુર કરી તળાવોનુ ડેવલપમેન્ટ થવુ જોઈએ એ બાબત ઉપર તેમણે ખાસ ભાર મુકયો હતો.શહેરમાં મોડલ ફાયર સ્ટેશન માટે એસ.જી.હાઈવે, એસ.પી.રીંગ રોડ તથા ૧૩૨ ફૂટ રીંગ રોડ ઉપર મોડલ ફાયર સ્ટેશન બનાવવા સુચના આપી હતી.

રોડના કામમા નડતરરુપ બેરેકેડસ તાકીદે હટાવી લો

મ્યુનિસિપલ કમિશનરે શહેરના વિવિધ વિસ્તારમાં ચાલતી  રોડની કામગીરીને લઈને નારાજગી વ્યકત કરી હતી.ઈજનેર વિભાગના અધિકારીઓને તાકીદ કરતા તેમણે કહયુ,રોડની કામગીરી જે સાઈડ ઉપર ચાલતી હોય તે સાઈડ ઉપર જ બેરીકેડસ મુકો.મારા ધ્યાનમા આવ્યુ છે કે ,કેટલીક જગ્યાએ આડેધડ બેરીકેડસ મુકી આખા રોડ બંધ કરી દેવાય છે. જરાક રસ્તે પસાર થતા લોકોની મુશ્કેલી પણ સમજો.