Get The App

વાપી મનપા હદ વિસ્તારમાં માર્ગોની મરામતની કામગીરી 30 દિવસમાં પૂર્ણ નહીં થાય તો કચેરીને તાળાબંધી કરાશે : કોંગ્રેસ

Updated: Nov 18th, 2025

GS TEAM

Google News
Google News
વાપી મનપા હદ વિસ્તારમાં માર્ગોની મરામતની કામગીરી 30 દિવસમાં પૂર્ણ નહીં થાય તો કચેરીને તાળાબંધી કરાશે : કોંગ્રેસ 1 - image

Vapi News : વાપી મનપા હદ વિસ્તારના મુખ્ય સહિતના માર્ગો ચોમાસા દરમિયાન ધોવાઈને બિસ્માર બની ગયા બાદ મરામતની કામગીરી નહીં કરાતા આજે મંગળવારે વાપી શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા મનપાના આસિ.કમિશ્રરને આવેદનપત્ર પાઠવ્યું હતું. 30 દિવસની મુદ્દતમાં માર્ગ મરામતની કામગીરી નહી કરાય તો ધરણાં અને મનપા કચેરીને તાળાબંધી કરવાની ચીમકી આપી હતી. જયારે મનપાના આસિ. કમિશ્રરે માર્ગ મરામતની કામગીરી હાથ ધરાઈ છે અને ડિસેમ્બર સુધીમાં તમામ માર્ગો રિકાર્પેટીંગ અને પેચવર્ક કરાશે એમ જણાવ્યું હતું.

વાપી શહેરમાં પડેલા ભારે વરસાદને કારણે મુખ્ય અને મનપા હદના તમામ વોર્ડોમાં માર્ગો ધોવાઈને બિસ્માર બની જતાં વાહન ચાલકો અને રાહદારીઓ મુશ્કેલીમાં મુકાયા હતા. માર્ગો બિસ્માર બની જવાને કારણે ટ્રાફિકની સમસ્યા જટીલ બની છે. ચોમાસા બાદ પણ બિસ્માર માર્ગોની મરામતની કામગીરી પૂર્ણ નહીં કરાતા આજે મંગળવારે વાપી શહેર કોંગ્રેસ દ્વારા વાપી મનપા કચેરીએ મોરચો કાઢવામાં આવ્યો હતો. પાલિકાના માજી વિપક્ષ નેતા ખંડુ પટેલ, આગેવાનો અને કાર્યકરોએ મનપાના આસિ. કમિશ્નર અશ્વિન પાઠકને આવેદનપત્ર સુપ્રત કર્યું હતું. 

કોંગ્રેસે 30 દિવસની મુદતમાં બિસ્માર માર્ગોની મરામતની કામગીરી પૂર્ણ નહીં કરાય તો ધરણા અને મનપા કચેરીને તાળાબંધી કરવાની ચીમકી ઉચ્ચારી હતી. માજી વિપક્ષ નેતા ખંડુ પડેલે મનપા હદ વિસ્તારના તમામ માર્ગો બિસ્માર બની જવાને કારણે ભારે હાલાકી સાથે ટ્રાફિકની સમસ્યા ખૂબજ જટીલ બની ગઈ હોવા છતાં કામગીરી નહીં કરાતા સૂતેલી સરકારને જગાડવા આવેદનપત્ર આપવામાં આવ્યું હોવાનું જણાવ્યું હતું. મનેપાના આસિ. કમિશ્નર અશ્વિન પાઠકે જણાવ્યું કે વાપી શહેરમાં આ વર્ષે વધુ વરસાદ પડતા માર્ગો બિસ્માર બની ગયા હતા. બિસ્માર માર્ગોને કારણે ટ્રાફિકની સમસ્યા પણ જટીલ બની છે. માર્ગોની મરામતની કામગીરી હાથ ધરાઈ છે. ડિસેમ્બર સુધીમાં માર્ગોની રિકાર્પેટીંગ અને પેચવર્કની કામગીરી પૂર્ણ કરાશે એમ જણાવ્યું હતું.