Get The App

કૌભાંડની રકમમાંથી દિલ્હીના આરીફને 10 લાખ મળ્યા હશે તો આજે ધરપકડ

Updated: Jan 20th, 2022

GS TEAM

Google News
Google News
કૌભાંડની રકમમાંથી દિલ્હીના આરીફને 10 લાખ મળ્યા હશે તો આજે ધરપકડ 1 - image

LRD-PSIની પરીક્ષાના કેસમાં  : બેંગ્લુરૂથી આરીફને રાજકોટ લઈ અવાયો, ક્રિષ્ના ભરડવા શાતીર ગુનેગારની જેમ માહિતી છુપાવી રહી છે

રાજકોટ, : એલઆરડી, પીએસઆઈની પરીક્ષામાં પાસ કરાવી દેવાના નામે લાખોનું કૌભાંડ આચરાયાના પ્રકરણમાં સંડોવાયેલા મનાતા દિલ્હીના આરીફ મહમદહનીફને ગાંધીગ્રામ પોલીસે બેંગ્લુરૂથી ઝડપી લીધો છે. જો કે તેની આ કૌભાંડમાં સંડોવણી છે કે કેમ તે આજે મોડી સાંજ સુધી સ્પષ્ટ નહી થયાનું પોલીસે જણાવ્યું હતું.

આ કૌભાંડમાં પકડાયેલી જુનાગઢની ક્રિષ્ના ભરડવાએ પોલીસને દિલ્હીનો આરીફ પણ સંડોવાયેલો હોવાની કબુલાત આપી હતી. જેના આધારે ગાંધીગ્રામ પોલીસની ટીમ દિલ્હી ગઈ હતી. પરંતુ ત્યાંથી આરીફ બેંગ્લુરૂ જતો રહ્યાની માહિતી મળતા ત્યાંથી તેની પુછપરછ માટે અટકાયત કરી રાજકોટ લવાયો હતો.  આરોપી ક્રિષ્નાએ કૌભાંડની રકમમાંથી 10 લાખ બેંકમાંથી ઉપાડી આંગડીયા મારફત આરીફને પહોંચાડયાની કબુલાત આપી હતી. હવે પોલીસ ખરેખર આરીફને રૂા. 10 લાખ મળ્યા હતા  કે કેમ તે બાબતની બેંક અને આંગડીયા પેઢી મારફત ખરાઈ કરી રહી છે. 

જો આરીફને કૌભાંડની રકમમાંથી રૂા. 10 લાખ મળ્યાના પુરાવા મળશે તો તેની પણ ધરપકડ કરાશે તેમ પોલીસે જણાવ્યું હતું. આવતીકાલ સવાર સુધીમાં આરીફની ભુમિકા સ્પષ્ટ થઈ જશે. ત્યારબાદ તેની ધરપકડ કરવી કે નહી તેનો નિર્ણય લેવાશે.  પોલીસ સુત્રોના જણાવ્યા પ્રમાણે આરીફ કોઈ કામધંધો કરતો નથી. તે રાજકારણીઓ સાથેના પોતાના સંબંધોનો ઉપયોગ કરી કામ કરી નાણાં કમાતો હોવાનું જણાય છે. 

હાલ રીમાન્ડ પર રહેલી ક્રિષ્ના શાતીર ગુનેગારની જેમ ઘણી માહિતી છુપાવી રહ્યાનું પણ પોલીસને લાગી રહ્યું છે. હાલ ક્રિષ્ના અને તેનો સાગરીત જેનીશ ગાંધીગ્રામ પોલીસ પાસે રીમાન્ડ પર છે. ગાંધીગ્રામ પોલીસની કાર્યવાહી પુર્ણ થયા બાદ માલવીયાનગર પોલીસ ઝવેરી સાથે છેતરપીંડી કેસમાં ક્રિષ્નાનો કબ્જો મેળવી ધરપકડ કરશે.