Gujarat

કઠલાલના લાડવેલ-પાંખિયા રોડ ઉપર મધ્યરાત્રિએ આઈસર સળગીને ખાખ

By GS TEAM
13 Mar 20262 mins read
કઠલાલના લાડવેલ-પાંખિયા રોડ ઉપર મધ્યરાત્રિએ આઈસર સળગીને ખાખ

શોર્ટ સર્કિટથી લાગેલી આગમાં ચાલકનો આબાદ બચાવ

વિશ્વનાથપુરાની સીમમાં એન્જિનના ભાગેથી ધુમાડા નીકળ્યા બાદ આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું

નડિયાદ: કઠલાલ તાલુકાના લાડવેલ ચોકડીથી પાંખિયા તરફ જતા માર્ગ પર આવેલા વિશ્વનાથપુરા સીમ વિસ્તારમાં ગત મધ્યરાત્રિએ એક આઈસરમાં આગ ફાટી નીકળી હતી. પ્રાથમિક અનુમાન મુજબ શોર્ટ સર્કિટના કારણે લાગેલી આ આગમાં આઈસર ચાલકે સમયસૂચકતા વાપરી બહાર કૂદી જતાં તેનો બચાવ થયો હતો. જોકે આગ એટલી વિકરાળ હતી કે, જોતજોતામાં આખું વાહન બળીને ખાખ થઈ ગયું હતું.

લાડવેલ અને પાંખિયા રોડ પરથી પસાર થઈ રહેલા આઈસર ટ્રકમાં રાત્રિના ૨ કલાકે અચાનક એન્જિનના ભાગેથી ધુમાડા નીકળવા લાગ્યા હતા. ચાલકને આગ લાગી હોવાની જાણ થતાં તેણે તુરંત ચાલુ વાહને નીચે કૂદકો માર્યોે હતો, જેના કારણે જાનહાનિ ટળી હતી. ઘટનાની જાણ થતા જ કપડવંજ ફાયર બ્રિગેડની ટીમ ઘટનાસ્થળે દોડી આવી હતી. હાઈવે પર લાગેલી આગને કારણે થોડો સમય વાહનવ્યવહાર પણ ખોરવાયો હતો. કપડવંજ ફાયર બ્રિગેડના જવાનોએ સતત ૨ કલાક સુધી પાણીનો મારો ચલાવીને આગ પર કાબૂ મેળવ્યો હતો. જોકે ફાયરની ટીમ કામગીરી પૂર્ણ કરે તે પહેલા આખું આઈસર અને તેમાં રહેલો માલસામાન સંપૂર્ણપણે નાશ પામ્યો હતો. વિશ્વનાથપુરાની સીમમાં બનેલી આ ઘટનામાં શોર્ટ સકટ મુખ્ય કારણ હોવાનું માનવામાં આવે છે. સદનસીબે આ દુર્ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી પરંતુ આથક રીતે મોટું નુકસાન થયું છે. આગ કાબૂમાં આવ્યા બાદ રોડ પરથી વાહનનો ભંગાર દૂર કરી ટ્રાફિક હળવો કરવામાં આવ્યો હતો.