ગાંધીધામના વેપારી સાથે હૈદરાબાદના પરિજને 2.93 કરોડની ઠગાઇ આચરી
વિદેશથી યુરિયા પ્રોડક્ટ મશીનો મંગાવી આપવાનું કહી રૂપિયા લઇ મશીનો ન મંગાવી આપ્યા
આ બાબતે ગાંધીધામના સેક્ટર-૪ મા રહેતા પ્રણવભાઈ નરસિંગભાઈ અગ્રવાલે ફરિયાદ નોંધાવતા જણાવ્યુ હતુ કે, ફરિયાદીના કોટુંબિક બનેવીએ વર્ષ-૨૦૧૫માં હૈદરાબાદના બંજારા હિલ્સમાં રહેતા તેના કાકાના દિકરા આરોપી રામરતન અગ્રવાલ સાથે પરિચય કરાવ્યો હતો. આ રામરતન ઈમ્પોર્ટન્ટ અને એક્સપોર્ટનું કામ કરે છે. જેથી ફરિયાદીએ વર્ષ ૨૦૨૪માં હૈદરાબાદની એક હોટલમાં રામરતનને મળ્યો હતો. ત્યારે ફરિયાદીએ ગાંધીધામના પડાણા ખાતે આવેલી પોતાની યુરિયા પ્રોડક્શન પ્લાન્ટ માટે
આરોપીને વિદેશથી ૨૩ ડી.ઈ.એફ મશીન (યુરિયા પ્રોડક્ટ મશીન) મંગાવી આપવાની વાત કરી હતી. જેમાં આરોપીએ હું મશીન મંગાવી દઈશ તેવું કહેતા ફરિયાદીએ આરોપીની ગ્લોબલ ઈમ્પોર્ટન્ટ એન્ડ એક્સપોર્ટ નામની કંપનીના બેંક ખાતામાં ૧૧-૦૧-૨૦૨૪ થી ૧૨-૦૨-૨૦૨૪ દરમિયાન કુલ ૭.૫૦ કરોડ રૂપિયા જમા કરાવ્યા હતા. જે બાદ આરોપીએ થોડા દિવસ પછી મશીન મળે એમ નથી એવુ કહી ૧૮-૩-૨૦૨૪ થી ૧૯-૫-૨૦૨૪ દરમિયાન ફરિયાદીને કુલ રૂ. ૪,૫૬,૯૫,૮૬૦ પરત આપી લીધા હતા. જ્યારે બાકીના રૂપિયામાં ઇજીપ્તથી ૮ મશીન મંગાવી આપીશ તેવું કહી વિશ્વાસમાં લીધો હતો. પરંતુ આરોપી રામરતનને ફરિયાદીને મશીન લઇ આપ્યા ન હતા તેમજ તેના બાકી નીકળતા કુલ રૂ. ૨,૯૩,૦૪,૧૪૦ પરત ન આપી ફરિયાદી સાથે વિશ્વાસઘાત કર્યો હતો. જેથી ફરિયાદીએ આરોપી સામે ગાંધીધામ એ ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.