- ખસ ગામની મહિલાને બદનામ કરતા ગળાફાંસો ખાઈ લીધો હતો
- 14 સાક્ષી તપાસવામાં આવ્યા, 30 દસ્તાવેજી પુરાવા રજૂ થયા, 50 હજારનો દંડ ભરવા પણ હુકમ
આણંદના ખંભાત તાલુકાના ગોલાણા ગામે રહેતો કરણસિંહ જહુભા પરમાર નામના શખ્સના વર્ષ ૨૦૧૫માં રાણપુરના ખસ ગામના મહિલા સાથે લગ્ન થયા હતા. ત્યારબાદથી આરોપીએ તેણીને શારીરિક-માનસિક ત્રાસ આપી વર્ષ ૨૦૧૯માં પિયર મોકલી આપી હતી. આ ઉપરાંત દીકરીનો જન્મ થતાં મેણાં-ટોણાં મારી, પિયરમાંથી નાણાં લાવવા દબાણ કરી તેણીના વોટ્સએપ ઉપર ફોટા વાયરલ કરી બદનામ કરતો હોય, તે દુઃખ-ત્રાસ સહન ન થતાં પરિણીતાએ તા.૨૧-૭-૨૦૧૯ના રોજ પિયરમાં ગળાફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. જે બનાવ અંગે કરણસિંહ પરમાર નામના શખ્સ સામે રાણપુર પોલીસમાં આઈપીસી ૩૦૬, ૪૯૮ (ક), આઈટી એક્ટની કલમ ૬૭ મુજબ ગુનો દાખલ થયો હતો. દરમિયાનમાં આ અંગેનો કેસ બોટાદના ડિસ્ટ્રીક્ટ એન્ડ સેશન્સ કોર્ટમાં ચાલી જતાં ફરિયાદી પક્ષે ૧૪ સાક્ષીને તપાસવામાં આવેલ તેમજ ૩૦ દસ્તાવેજી પુરાવા, જિલ્લા સરકારી વકીલ કે.એમ. મકવાણાની ધારદાર દલીલો, રજૂઆતોને ગ્રાહ્ય રાખી ડિસ્ટ્રીક્ટ એન્ડ સેશન્સ જજ એમ.જે. પરાશરે આરોપીને તકસીરવાન ઠેરવી સાત વર્ષ સખત કેદની સજા, રૂા.૫૦,૦૦૦નો દંડ ભરવા હુકમ ફરમાવેલ છે.


