ઘરકંકાસનો કરુણ અંજામ: પાલીતાણામાં પતિએ છરીના 14 ઘા મારી કરી પત્નીની હત્યા
Palitana News : ઘરકંકાસમાં મારામારી-હત્યા સહિતની ઘટનાઓ સામે આવતી હોય છે, ત્યારે ભાવનગરના પાલીતાણામાં પતિએ ઘરકંકાસના કારણે પત્નીને છરીના 14 ઘા મારીને મોતને ઘાટ ઉતારી હોવાની ચોંકવનારી ઘટના સામે આવી છે. સમગ્ર મામલે જાણ થતાં પાલીતાણા ટાઉન પોલીસની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. પોલીસે મૃતક યુવતીના મૃતદેહને પીએમ અર્થે હોસ્પિટલ મોકલ્યો હતો. જ્યારે પત્નીની હત્યા કરનાર આરોપી પતિની પોલીસે ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.
પાલીતાણામાં પતિએ કરી પત્નીની હત્યા
મળતી માહિતી મુજબ, પાલીતાણાના શક્તિનગર વિસ્તારમાં રહેતા સાગર ચનાભાઈ સરવૈયાએ મુંબઈના દિશાબહેન (ઉં.વ. 27) વર્ષ 2019માં પ્રેમ લગ્ન કર્યા હતા. જ્યારે ગુરુવાર (5 જૂન, 2025)ના રોજ બંને પતિ-પત્ની વચ્ચે ઝઘડો થયો હોવાનું જણાય છે. જેમાં ઘરકંકાસના કારણે પતિ આવેશમાં આવીને પત્નીને છરીના 14 ઘા ઝીંકીને હત્યા નીપજાવી હતી.
પાલીતાણામાં પતિએ પત્નીને મોતને ઘાટ ઉતારી હોવાની ઘટનાને લઈને ચકચાર મચી જવા પામી હતી, ત્યારે પત્નીની હત્યા કર્યા બાદ આરોપી પતિ મૃતક પત્નીની લાશ સામે બેઠો રહ્યો હતો અને ક્ષણિક આવેશમાં કરેલી હત્યા બાદ પછતાયો હોવાનું સામે આવ્યું છે. સમગ્ર ઘટના અંગે પોલીસને જાણ થતાં પાલીતાણા ટાઉન પોલીસ ઘટનાસ્થળે પહોંચીને હત્યાનો ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.