સીમર ગામે ગૃહકલેશ લોહીયાળ બન્યો
આરોપીની અટકાયત, નવાબંદર મરીન પોલીસે પુત્રોનાં નિવેદન લીધાં : મનોઅસ્થિર પ્રૌઢે કયા કારણસર હત્યા કરી એ વિશે તપાસ
સીમર ગામે વાડી વિસ્તારમાં રહેતા જગદીશ ઉર્ફે જગાભાઈ ડાભી અને તેમના પત્ની લક્ષ્મીબેન (ઉ.વ.૪૫) વચ્ચે આજે કોઈ બાબતે બોલાચાલી થતાં ઝઘડાએ ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું. આવેશમાં આવેલા જગદીશે ઘરમાં પડેલો લોખંડનો દસ્તો લઈ પત્ની લક્ષ્મીબેનને આડેધડ મારવા માંડયો હતો અને માથામાં પણ જોરદાર ઘા મારી દેતા લક્ષ્મીબેન લોહીલુહાણ હાલતમાં જમીન પર પડી ગયા હતા. ઘરના સભ્યોએ દોડી આવી લક્ષ્મીબેનને બેભાન હાલતમાં સીમર હોસ્પિટલે ખસેડયા હતા, જ્યાં ફરજ પરના ડોક્ટરે તેમને મૃત જાહેર કર્યા હતા. બાદમાં મૃતદેહને ઊના હોસ્પિટલે પોસ્ટમોર્ટમ માટે લઈ જવાયો હતો. બનાવની જાણ થતાં બે પુત્રો કેતન અને દિનેશ હોસ્પિટલે દોડી ગયા હતા જ્યાં માતાનો મૃતદેહ જોઈ ભાંગી પડી કલ્પાંત કરવા લાગતાં વાતાવરણ ગમગીન બની ગયું હતું.
બનાવના પગલે નવાબંદર મરીન પોલીસના ઇન્ચાર્જ પીઆઈ જેબલીયા, પીએસઆઈ રાઠોડ, પીએસઆઈ કંચનબેન પરમારે સ્ટાફ સાથે ઘટના સ્થળે પહોંચી આરોપી જગદીશની અટકાયત કરી હતી. પુત્રોનું નિવેદન લેતા પિતા માનસીક બીમાર હોવાથી અગાઉ દવા લેતા હતા પણ હવે ન લેતા હોવાનું જણાવ્યું હતું. જયારે આરોપી જગદીશના ભાઈ પરબત ડાભીએ જણાવ્યું હતું કે, કોઈએ આડા સંબંધની વાત ભાઈ જગદીશને કરેલી અને તે બાબતે ભાઈ-ભાભી વચ્ચે ઝઘડો થયો હશે. આ બનાવમાં પોલીસે હુમલાનું સાચું કારણ શોધવા ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરી છે.


