તમારો કૂતરો અહિંયા ગંદકી કરે છે! તેમ કહી દંપતી સાથે ઝઘડો કર્યા બાદ પતિ પર લાકડીથી હુમલો
Vadodara Crime : વડોદરા શહેરના ગાજરાવાડી વિસ્તારમાં રહેતા પરીવાર સાથે કૂતરો ગંદકી કરે છે તેમ કહી દંપતી સાથે ઝઘડો કર્યો હતો. ત્યારબાદ મહિલાના પતિને માર માર્યા બાદ લાકડીથી હુમલો કર્યો હતો. જેથી મહિલાએ પાણીગેટ પોલીસ સ્ટેશનમાં ચાર લોકો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.
વડોદરા શહેરના ગાજરવાડી વિસ્તારમાં વિષ્ણુકુંજ સોસાયટીમાં રહેતા હંસાબેન વિક્રમભાઈ વણઝારાએ પોલીસ ફરિયાદ નોંધાવી છે કે ગત 18 જૂનના રોજ સવારના આશરે દશેક વાગ્યાની આસપાસ હું મારા ઘરના ધાબા ઉપર કપડા સુકવવા માટે ગઈ હતી. તે વખતે અમારા ઘરની સામે રહેતા ગોમાબેન વણઝારાએ મને જણાવેલ કે "અહિંયા તારે કુતરો રાખવો નહિ કેમ કે ગંદકી કરે છે" અને ત્યારબાદ મારા પતિ વિક્રમભાઈ પ્રભાતભાઈ વણઝારા સાંજના પાંચેક વાગ્યાની આસપાસ આવતા મેં મારા પતિને હકીકત જણાવી હતી. ત્યારબાદ મારા પતિ વિક્રમભાઈ પ્રભાતભાઈ વણઝારા ગોમાબેન વણઝારાના દિકરા જીતુભાઇ વણઝારા એક વાગ્યાની આસપાસ અમારા ઘરની સામે જીતુભાઈ વણઝારા સાથે મારા પતિ વાતચીત કરતો હોય તે વખતે જીતુભાઈ વણઝારા મારા પતિ ઉપર એકદમ ઉશ્કેરાઈ જઈ મારા પતિ સાથે બોલાચાલી ઝઘડો તકરાર કરવા લાગ્યા હતા અને જીતુભાઈ વણઝારાનું ઉપરાણ લઈ તેના બનેવી વિનોદભાઈ વણઝારા તથા મનિષભાઈ વિનોદભાઇ વણઝારા ત્રણેય ભેગા મળીને મારા પતિને ગડદાપાટુનો માર મારવા લાગ્યા હતા. મનિષભાઈ વિનોદભાઈ વણઝારાએ દંડો (લાકડી) મારા પતિના માથાના પાછળના ભાગે મારી ઇજા પહોંચાડી અને જીતુભાઈની પત્ની અરૂણાબેન વણઝારા મારી સાથે બોલાચાલી ઝઘડો તકરાર કરી મારા પતિ વિક્રમ વણઝારાને જીતુભાઈ વણઝારાએ જાનથી મારી નાખીશ તેવી ધમકી આપી હતી.