બરવાળામાં જગન્નાથજીના રથયાત્રામાં માનવ મહેરામણ ઉમટયુ
- બાળકો સાથેના લાઈવ ફલોટ આકર્ષણનું કેન્દ્ર બન્યા
- જય રણછોડ માખણચોર અને જય જગન્નાથના ગગનભેદી નારાઓ સાથે શહેર ગુંજી ઉઠયું
બરવાળામાં આયોજિત ભગવાન જગન્નાથજીની રથયાત્રાને લઈને હિન્દુ યુવા સંગઠન અને મહિલા સત્સંગ મંડળની બહેનો દ્વારા તૈયારીઓ કરવામાં આવી હતી. અષાઢી બીજના પર્વે વહેલી સવારે બરવાળાના લક્ષ્મણજી મંદિરે ભગવાન જગન્નાથજી, બલભદ્રજી અને બહેન સુભદ્રાજીનું પૂજન અર્ચન કરી મંદિરના મહંત મહામંડલેશ્વર પૂ.જગદેવદાસજી મહારાજ દ્વારા સંતો, મહંતો, રાજકીય અને સામાજિક આગેવાનોની વિશાળ ઉપસ્થિતીમાં રથયાત્રાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો.૩૦ જેટલા ટ્રેકટરમાં બાળકો દ્વારા રજુ કરાયેલા ફલોટસ તથા લાઈવ દ્રશ્યો આ રથયાત્રાના મુખ્ય આકર્ષણ રહ્યા હતા. સમગ્ર નગરમાં રથયાત્રાના રૂટ પર ઠેર-ઠેર ચા નાસ્તાના ટેબલ, દરેક શેરીના રહિશો દ્વારા ગોઠવાયા હતા. નગરચર્યાએ નિકળેલા ભગવાન જગન્નાથજીના રથનું ઠેર ઠેર પૂજન અને આરતી દ્વારા સ્વાગત કરવામાં આવ્યુ હતુ. સાધુ, સંતો દ્વારા અખાડાના અંગ કસરતના દાવો રજુ કરાયા હતા. માલધારી સમાજ દ્વારા પરંપરાગત વેશભૂષામાં લાકડીદાવ અને રાસની રમઝટ બોલાવાઈ હતી. મોટી સંખ્યામાં બાળકો દ્વારા રામાયણ, મહાભારત અને સૈનિકોની વેશભૂષામાં અનેરા શોભતા હતા. પાટશેરીમાં આવેલા રામજી મંદિર તથા રોકડીયા હનુમાનજીના મંદિરે ભગવાન જગન્નાથજી, બલભદ્રજી અને બહેન સુભદ્રાનું પુજન કરવામાં આવ્યુ હતુ. મહાવીર જીન ખાતે રથયાત્રામાં જોડાયેલા ભકતો માટે ભોજન પ્રસાદની વ્યવસ્થા કરાઈ હતી.ઠેર ઠેર રથયાત્રાનું ભવ્ય રીતે સ્વાગત કરાયુ હતુ. નગરના વેપારીઓે ધંધા રોજગાર બંધ રાખી રથયાત્રામાં જોડાયા હતા.રથયાત્રાને લઈને પોલીસ તંત્ર દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો હતો. માર્ગમાં જય રણછોડ, માખણ ચોર અને જય જગન્નાથના નારા ગુંજી ઉઠતા સમગ્ર નગર ભકિતમય વાતાવરણમાં રંગાયુ હતુ.
ખોજા જમાત અને મુસ્લિમ બિરાદરો દ્વારા સ્વાગત કરાયુ
રથયાત્રાનું સ્થાનિક ખોજા જમાત, મુસ્લિમ બિરાદરો, દાઉદી વ્હોરા સમાજના લોકોએ સ્વાગત કરી મહંત જગદેવદાસજીનું સન્માન કરી કોમી એકતાનું પ્રેરક ઉદાહરણ પુરૂ પાડયુ હતુ.
રથયાત્રાની સાથે સાથેે...
* ભગવાન જગન્નાથજીની રથયાત્રાના પ્રસ્થાનના પ્રારંભે પહિન્દ વિધિ બાદ મંચસ્થ સંતો, મહંતો તેમજ રાજકીય અને સામાજિક આગેવાનોના હસ્તે રથને દોરડા વડે ખેંચીને વિધિવત પ્રસ્થાન કરાયુ હતુ.
* ભાવનગર જિલ્લા માજી સૈનિક સંગઠનના પ્રતિનિધિઓ દ્વારા ભગવાનના રથને સેલ્યુટ કરાઈ હતી. બાદ નાસિકના બેન્ડના કલાકારોએ મન મુકીને કલા પીરસી હતી.ફૂલપાંદડીનો અભિષેક કરાતા વાતાવરણ ભકિતમય બન્યુ હતુ.
* રથયાત્રાના પ્રસ્થાનથી લઈને સમાપન સુધી રથયાત્રાના માર્ગ પરના ખાણી પીણીના એકમો તંત્રવાહકો દ્વારા બંધ કરાતા ખાણીપીણીના રસિકોને દૂર દૂર જવાનો વખત આવ્યો હતો.
* રથયાત્રા નિહાળવા માટે શહેરના પરા વિસ્તારોમાંથી આવેલા ભાવીકો પાસેથી ખાનગી રીક્ષાચાલકો દ્વારા મનમાની રીતે ઉંચા ભાડા વસુલતા અસરગ્રસ્તોએ રોષ વ્યકત કર્યો હતો.
*રથયાત્રાનુ અથથી ઈતિ સુધી સ્થાનિક ઢગલાબંધ યુ ટયુબ ચેનલ, રથયાત્રા સમિતિની ચેનલ તેમજ ખાનગી સ્થાનિક અને પ્રાદેશિક ટીવી ચેનલો દ્વારા જીવંત પ્રસારણ કરવામાં આવતા અસંખ્ય પરિવારોએ તેનો લાભ લીધો હતો.
* રથયાત્રાને લઈને પ્રતિ વર્ષની જેમ આ વર્ષે પણ મુખ્ય અને આંતરિક રસ્તાઓ બંધ કરી દેવાતા શહેરના ગીચ રહેણાંકીય વસાહતોના રહિશોને ફરી ફરીને જવાનો વખત આવ્યો હતો.
*સવારના અરસામાં ભારે ગરમીનો માહોલ હોવા છતાં પ્રસ્થાન સમયે હૈયે હૈયુ દળાય તેવી ભાવિકોની ભારે ભીડ રહી હતી. જયારે બપોરના અરસામાં વરસાદ તૂટી પડતા વરસતા વરસાદમાં પણ ભાવીકો રથયાત્રામાં સામેલ રહ્યા હતા. વરસાદના કારણે અનેક સુરક્ષાકર્મીઓ અને ભાવિકો રેઈનકોટ પહેરીને છત્રી સાથે રથયાત્રામાં દ્રશ્યમાન થયા હતા.
*રથયાત્રાના માર્ગમાં ઠેર ઠેર સમિતના વર્તમાન અને પુર્વ અધ્યક્ષના વેપારી મંડળો, રાજકીય, સામાજિક આગેવાનો દ્વારા ફૂલહારથી અભિવાદન કરાયા હતા.
* આ રથયાત્રામાં ખાખીપોથીના ૧૭ થી લઈને ૪૦ વર્ષના ૬૦૦ સ્વયંસેવકોએ સ્થાનિક અલગ અલગ પોઈન્ટ પર પ્રશસ્ય સેવા આપી હતી.
*દિવસ દરમિયાન અત્ર, તત્ર અને સર્વત્ર ભગવાનની રથયાત્રાની મોડી શરૂઆત, રૂકાવટ સહિતના મુદે ચર્ચા સંભળાતી હતી.
મકાન, ફલેટની અગાસીમાંથી ઘણા લોકોએ રથયાત્રા નિહાળી
ભાવનગર શહેરમાં આજે શુક્રવારે ભગવાન જગન્નાથજીની રથયાત્રા કાઢવામાં આવી હતી તેથી લોકોમાં ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો. આ રથયાત્રા શહેરભરમાં ફરી હતી અને ઘણા લોકોએ રોડ પરથી રથયાત્રા નિહાળી હતી, જયારે ઘણા લોકોએ મકાન અને ફલેટની અગાસીમાંથી ભગવાનના દર્શન કર્યા હતા તેમજ રથયાત્રા નિહાળી હતી.
સોશીયલ મીડિયા અને ટેલીવીઝન પર ઘણા લોકોએ રથયાત્રા જોઈ
ભાવનગર શહેરમાં રથયાત્રાનુ સોશીયલ મીડિયા અને ટેલીવીઝન પર પ્રસારણ કરવામાં આવ્યુ હતુ તેથી લોકોએ ઘણા લોકોએ ઘરે બેઠા રથયાત્રા નિહાળી હતી તેમજ ભગવાનના દર્શન કર્યા હતાં. રથયાત્રાનુ લાઈવ પ્રસારણ કરવામાં આવતુ હોવાથી વૃધ્ધ સહિતના લોકોને રાહત થતી હોવાનુ ચર્ચાય રહ્યુ છે.
રથયાત્રાના પગલે વાહન ચાલકોને મૂશ્કેલી
ભાવનગર શહેરમાં રથયાત્રાના કારણે દર વર્ષની જેમ મુખ્ય રોડ બંધ કરી દેવામાં આવ્યા હતા તેથી વાહન ચાલકોને મૂશ્કેલી પડી હતી. મુખ્ય રોડ બંધ હોવાથી લોકોએ એક જગ્યાએથી બીજી જગ્યાએ જવા ખાંચા-ગલ્લીનો ઉપયોગ કરવો પડયો હતો, જેના કારણે ખાંચા-ગલ્લીઓમાં ટ્રાફીકજામ જોવા મળ્યો હતો. વેપારી, કર્મચારી સહિતના પરેશાન થયા હતાં.
રથયાત્રામાં ફાયર વિભાગનો સ્ટાફ ખડેપગે રહ્યો
ભાવનગર શહેરમાં ભગવાન જગન્નાથજીની રથયાત્રામાં મહાપાલિકાના ફાયર વિભાગનો સ્ટાફ ખડેપગે રહ્યો હતો પરંતુ આગનો કોઈ બનાવ બન્યો ન હતો તેથી ફાયર સ્ટાફને કામગીરીમાં રાહત રહી હતી. ઉલ્લેખનીય છે કે, દર વર્ષે રથયાત્રામાં આગનો બનાવ બને તો તત્કાલ પગલા લઈ શકાય તે માટે સાવચેતીના ભાગરૂપે ફાયર વિભાગની ટીમ સાથે રાખવામાં આવતી હોય છે.
રથયાત્રાના રૂટમાં મનપાના કર્મચારીઓએ સફાઈ કામગીરી હાથ ધરી
ભાવનગર શહેરમાં સ્વચ્છતા જળવાય રહે તે માટે રથયાત્રાની પાછળ મહાપાલિકાના સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગે સફાઈ કર્મચારીઓને કામગીરી સોંપી હતી અને રથયાત્રાની પાછળ પાછળ તત્કાલ સફાઈ કામગીરી કરવામાં આવી હતી. રથયાત્રાના રૂટ પરથી પાણીની બોટલો, પ્રસાદના પડીયા, કાગળ સહિતનો કચરો એકઠો કરી સફાઈ કર્મચારીઓએ સુંદર કામગીરી કરી હતી.