Gujarat

શિક્ષણ વિભાગનો નવો પરિપત્ર વિવાદમાં: HTAT મુખ્ય શિક્ષક સંઘની મુખ્યમંત્રીને રજૂઆત

By GS TEAM
12 Jun 20262 mins read
TukuTouch Logo
ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા તાજેતરમાં બહાર પાડવામાં આવેલા એક નવા પરિપત્રને કારણે રાજ્યભરના સરકારી પ્રાથમિક શાળાઓના HTAT (હેડ ટીચર એપ્ટિટ્યુડ ટેસ્ટ) મુખ્ય શિક્ષકોમાં ભારે અસંતોષ, વ્યથા અને આક્રોશની લાગણી ફેલાઈ ગઈ છે. શિક્ષણ વિભાગના પરિપત્ર અનુસાર, હવે મુખ્ય શિક્ષકોને 15 કિલોમીટરની ત્રિજ્યામાં આવેલી અને HTAT મુખ્ય શિક્ષકનું મંજૂર મહેકમ ધરાવતી વધારાની અન્ય એક શાળાનો ચાર્જ સોંપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. સરકારના આ અવ્યવહારુ નિર્ણયનો શિક્ષક સંગઠનો દ્વારા ઉગ્ર વિરોધ શરૂ થયો છે.

Summarized by AI; it may make mistakes. Check important info

શિક્ષણ વિભાગનો નવો પરિપત્ર વિવાદમાં: HTAT મુખ્ય શિક્ષક સંઘની મુખ્યમંત્રીને રજૂઆત

HTAT Teachers Controversy | ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા તાજેતરમાં બહાર પાડવામાં આવેલા એક નવા પરિપત્રને કારણે રાજ્યભરના સરકારી પ્રાથમિક શાળાઓના HTAT (હેડ ટીચર એપ્ટિટ્યુડ ટેસ્ટ) મુખ્ય શિક્ષકોમાં ભારે અસંતોષ, વ્યથા અને આક્રોશની લાગણી ફેલાઈ ગઈ છે. શિક્ષણ વિભાગના પરિપત્ર  અનુસાર, હવે મુખ્ય શિક્ષકોને 15 કિલોમીટરની ત્રિજ્યામાં આવેલી અને HTAT મુખ્ય શિક્ષકનું મંજૂર મહેકમ ધરાવતી વધારાની અન્ય એક શાળાનો ચાર્જ સોંપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. સરકારના આ અવ્યવહારુ નિર્ણયનો શિક્ષક સંગઠનો દ્વારા ઉગ્ર વિરોધ શરૂ થયો છે.

અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ (ગુજરાત) દ્વારા આ પરિપત્રનો સખત શબ્દોમાં વિરોધ કરવામાં આવ્યો છે. સંગઠને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને લેખિત રજૂઆત કરીને જણાવ્યું છે કે સરકાર એક તરફ શિક્ષણની ગુણવત્તા વધારવાની મોટી-મોટી વાતો કરે છે, જ્યારે બીજી તરફ મુખ્ય શિક્ષકો પર વધારાની શાળાનો કાર્યબોજ લાદી રહી છે. આ નિર્ણય તદ્દન વિરોધાભાસી અને શૈક્ષણિક હિતની વિરુદ્ધમાં છે. અગાઉ જાન્યુઆરી 2026 માં 10 કિલોમીટરની ત્રિજ્યામાં ચાર્જ સોંપવાનો નિયમ હતો, જેની મુશ્કેલીઓ બાબતે રજૂઆત કરવા છતાં સરકારે સુધારો કરવાના નામે અંતર વધારીને 15 કિલોમીટર કરી દીધું છે, જે વધુ જોખમી છે.

મહાસંઘના પ્રમુખ પ્રવિણસિંહ બી. વાઘેલા અને મહામંત્રી રમેશભાઈ જે. ખેર દ્વારા જણાવવામાં આવ્યું છે કે, મુખ્ય શિક્ષક એ કોઈપણ શાળાનું કેન્દ્રબિંદુ અને હૃદય સમાન હોય છે. શાળાનું શૈક્ષણિક આયોજન, વહીવટી વ્યવસ્થા, સરકારી યોજનાઓનું અમલીકરણ, નાણાકીય અને વિવિધ ઓનલાઈન કામગીરીઓ તેમજ વાલી સંપર્ક જેવી અનેકવિધ જવાબદારીઓ ઓલરેડી મુખ્ય શિક્ષકના શિરે હોય છે. આવી સ્થિતિમાં એક જ વ્યક્તિને બે શાળાઓનો વહીવટ સોંપવાથી બંને શાળાઓના શિક્ષણકાર્ય, બાળકોના ભવિષ્ય અને શૈક્ષણિક ગુણવત્તાને ગંભીર નુકસાન પહોંચશે. કાર્યબોજ વધવાના કારણે મુખ્ય શિક્ષકો ભારે માનસિક તણાવનો ભોગ બનશે. જ્યાં પણ મુખ્ય શિક્ષકની જગ્યા ખાલી હોય, ત્યાં અગાઉની પરંપરાગત વ્યવસ્થા મુજબ તે જ શાળાના વરિષ્ઠ (સિનિયર) શિક્ષકને મુખ્ય શિક્ષકનો ચાર્જ સોંપવામાં આવે તે જ વધુ વ્યવહારુ અને અસરકારક પદ્ધતિ છે. બાળકો અને શાળાઓના વિશાળ હિતમાં આ વિવાદિત પરિપત્રને તાત્કાલિક અસરથી રદ કરવામાં આવે.