Get The App

VIDEO: છોટા ઉદેપુરના આદિવાસીઓ માટે ટીમરૂના પાન 'લીલું સોનું', જંગલની પેદાશથી મળી રહી છે રોજગારી

Updated: May 10th, 2026

GS TEAM

Google News
Google News
VIDEO: છોટા ઉદેપુરના આદિવાસીઓ માટે ટીમરૂના પાન 'લીલું સોનું', જંગલની પેદાશથી મળી રહી છે રોજગારી 1 - image

Chhota Udepur News: પ્રકૃતિના ખોળે વસેલા છોટા ઉદેપુર જિલ્લાના જંગલો આજે પણ તેટલા જ સમૃદ્ધ છે. ઉનાળાની આ કાળઝાળ ગરમીમાં જ્યારે ખેતીકામ ઓછું હોય છે, ત્યારે આ વિસ્તારના આદિવાસી પરિવારો માટે જંગલની ગૌણ પેદાશો આશીર્વાદ સમાન બની રહે છે. હાલમાં જંગલોમાં ટીમરૂના ઝાડ પર નવી કૂંપળો અને પાન ફૂટી નીકળ્યા છે, જે સ્થાનિક લોકો માટે પૂરક આવકનું મુખ્ય સાધન બન્યા છે.

વહેલી સવારથી જંગલ ખેડતા શ્રમિકો

જિલ્લાના ગ્રામીણ વિસ્તારોમાં રહેતા લોકો વહેલી સવારે જ જંગલોમાં પહોંચી જાય છે. ટીમરૂના પાન તોડવાની કામગીરી સવારના ઠંડા પહોરમાં કરવામાં આવે છે જેથી પાન તાજા રહે. બપોર સુધીમાં જંગલમાંથી પાન એકત્ર કરી ઘરે પરત ફર્યા બાદ, ઘરના તમામ સભ્યો મળીને આ પાનની વ્યવસ્થિત જુડીઓ એટલે કે બંડલ બનાવે છે. આ પ્રક્રિયામાં નાના બાળકોથી લઈને વડીલો સુધીના તમામ લોકો ઉત્સાહપૂર્વક જોડાય છે.

ખરીદ કેન્દ્રો પર રોકડી આવક

તંત્ર દ્વારા આદિજાતિ વિસ્તારના લોકોની સુવિધા માટે ગામડાઓમાં જ ખરીદ કેન્દ્રો ઊભા કરવામાં આવ્યા છે. સાંજ પડતાની સાથે જ લોકો પોતાની મહેનતનું ભાથું લઈને આ કેન્દ્રો પર પહોંચે છે. અહીં પાનનું વેચાણ કરીને તેઓને રોકડી આવક મળે છે, જે તેમના ઘરના ગુજરાન માટે ખૂબ જ મદદરૂપ સાબિત થાય છે.

ટીમરૂ પાન વેચનાર ગિરીશ નાયકનું કહેવું છે કે, "દર વર્ષે આ સીઝનમાં અમે જંગલમાંથી પાન લાવીને વેચીએ છીએ. આનાથી અમને ખેતી સિવાયની વધારાની સારી આવક મળી રહે છે અને અમારું ગુજરાન સુખરૂપ ચાલે છે."

આ પણ વાંચો: ધન્ય છે આ જનેતાઓને! અમદાવાદમાં 2042 માતાએ ધાવણ દાન કરીને અનેક નવજાત શિશુને આપ્યું નવજીવન

ટીમરૂના પાન અને ફળના ઉપયોગો

ઔષધીય ઉપયોગ: ટીમરૂના પાનમાં એન્ટિ-બેક્ટેરિયલ ગુણ હોય છે. ગ્રામીણ વિસ્તારોમાં ઘા પર કે ચામડીના રોગોમાં તેનો લેપ કરવામાં આવે છે.

ટીમરૂનું ફળ (ટીમરુ): આ ઝાડ પર આવતું ફળ ખાવામાં ખૂબ જ મીઠું અને સ્વાદિષ્ટ હોય છે. તેને 'ગરીબોનું સફરજન' પણ કહેવામાં આવે છે. તે પાચનશક્તિ સુધારવામાં મદદરૂપ છે.

દાંત માટે રામબાણ: ટીમરૂની ડાળખીનો ઉપયોગ દાતણ તરીકે કરવાથી દાંતના દુખાવા અને પેઢાની સમસ્યામાં રાહત મળે છે.

પ્રાકૃતિક પડિયા-પતરાળા: દક્ષિણ ભારતના કેટલાક ભાગોમાં ટીમરૂના પાનને સીવીને તેમાંથી ભોજન માટેના પતરાળા અને પડિયા પણ બનાવવામાં આવે છે, જે સંપૂર્ણપણે ઇકો-ફ્રેન્ડલી હોય છે.