Gujarat

જ્યારે દરિયામાં ડૂબી ડૉ. આંબેડકરની બૌદ્ધિક સંપદા, ત્યારે સયાજીરાવ ગાયકવાડે 'હુજૂર હુકમ' કરી આપ્યું હતું વળતર

By GS TEAM
13 Apr 20263 mins read
TukuTouch Logo
પહેલું વિશ્વ યુદ્ધ પૂર્ણ થવાને હજુ એકાદ વર્ષનો સમય હતો અને જુલાઈ 1917ના રોજ અગ્રેજી ચેનલમાંથી પસાર થઈ રહેલા સાલસાટી (SS Salsette) નામક એક જહાજ પર જર્મની તરફથી ટોર્પિડો હુમલો થયો. આ કમનસીબ હુમલામાં 15 જેટલી વ્યક્તિ મોતને ભેટી. તેની સાથે બીજી પણ એક ઘટના બની. આ જહાજમાં મહામાનવ ડો. બી.આર.આંબેડકરની બૌદ્ધિક સંપદા સમાન પીએચડી, પુસ્તકો સહિતનો સામાન પણ હતો, આ જહાજની સાથે જ પાણી ડૂબી ગયો હતો. જોકે, સદ્દનસીબે ડો. આંબેડકર અમેરિકાથી અન્ય જહાજ મારફત ભારત આવી રહ્યા હતા. એ પછી શું થયું એ? એ વિશે લોકોને જવલ્લે જ ખબર હશે.

Summarized by AI; it may make mistakes. Check important info

જ્યારે દરિયામાં ડૂબી ડૉ. આંબેડકરની બૌદ્ધિક સંપદા, ત્યારે સયાજીરાવ ગાયકવાડે 'હુજૂર હુકમ' કરી આપ્યું હતું વળતર

Dr. BR Ambedkar History: પહેલું વિશ્વ યુદ્ધ પૂર્ણ થવાને હજુ એકાદ વર્ષનો સમય હતો અને જુલાઈ 1917ના રોજ અગ્રેજી ચેનલમાંથી પસાર થઈ રહેલા સાલસાટી (SS Salsette) નામક એક જહાજ પર જર્મની તરફથી ટોર્પિડો હુમલો થયો. આ કમનસીબ હુમલામાં 15 જેટલી વ્યક્તિ મોતને ભેટી. તેની સાથે બીજી પણ એક ઘટના બની. આ જહાજમાં મહામાનવ ડો. બી.આર.આંબેડકરની બૌદ્ધિક સંપદા સમાન પીએચડી, પુસ્તકો સહિતનો સામાન પણ હતો, આ જહાજની સાથે જ પાણી ડૂબી ગયો હતો. જોકે, સદ્દનસીબે ડો. આંબેડકર અમેરિકાથી અન્ય જહાજ મારફત ભારત આવી રહ્યા હતા. એ પછી શું થયું એ? એ વિશે લોકોને જવલ્લે જ ખબર હશે. 

ભીમરાવ મેટ્રિક પાસ કરનારા મહાર જ્ઞાતિના પહેલા વિદ્યાર્થી

એ વાત સર્વવિદિત છે કે, ડો. ભીમરાવ આંબેડકરે બહુ સંઘર્ષ, જાતિગત ભેદભાવ અને અસ્પૃશ્યતાનો સામનો કરી અભ્યાસ કર્યો હતો. તેમણે વર્ષ 1907માં મેટ્રિકની પરીક્ષા પાસ કરી હતી. મેટ્રિક પાસ કરનારા તેઓ મહાર જ્ઞાતિના પહેલા વિદ્યાર્થી હતા. આ માટે ડો. ભીમરાવનું સન્માન કરવામાં આવ્યું હતું. એ સન્માન સમારોહમાં આચાર્ય કૃષ્ણાજી અર્જુન કેલુસ્કરે તેમના સંબોધનમાં કહેલું કે, 'હું ભીમરાવને જાણું છું. તેઓ એક બુદ્ધિમાન, તેજસ્વી અને હોંશિયાર વિદ્યાર્થી છે. ભીમરાવે કોલેજમાં દાખલ થઇ ઉચ્ચ અભ્યાસ કરવો જોઇએ.' આચાર્ય કેલુસ્કરે ડો. ભીમરાવના ઉચ્ચ અભ્યાસ માટે વડોદરાના રાજવી સયાજીરાવ ગાયકવાડ પાસેથી શિષ્યવૃત્તિ અપાવશે, એવી હૈયાધારણ આપી હતી. 

સયાજીરાવ ગાયકવાડે ભીમરાવને કેટલાક પ્રશ્નો પૂછ્યા 

બાદમાં વડોદરા નરેશ સાથે મુલાકાત કરાવવા માટે આચાર્ય કેલુસ્કર, ભીમરાવને લઈને ગયા. એ વખતે સયાજીરાવ ગાયકવાડે કેટલાક પ્રશ્નો પૂછ્યા. ભીમરાવે તમામ પ્રશ્નોના સચોટ અને યોગ્ય ઉત્તરો આપ્યા. મહારાજા પ્રભાવિત થયા. તેમણે દર માસે 25 રૂપિયાની શિષ્યવૃત્તિ આપી. વર્ષ 1908માં એલ્ફિન્સ્ટન કોલેજમાં પ્રવેશ મેળવી તેમણે બીએની પદવી પ્રાપ્ત કરી. બાદમાં વડોદરા રાજ્યમાં નોકરી શરૂ કરી. વડોદરામાં હાલમાં કોઠી કમ્પાઉન્ડમાં જે ઇમારત છે, ત્યાં આવેલા એક ઓરડામાં બેસી નોકરી હતા. પણ આ દરમિયાન વસવાટ, ભોજન, જાતિગત તિરસ્કાર સહિતના ત્રાસદાયક કષ્ટ અને વિપત્તિઓને કારણે નોકરી છોડી દીધી અને વિદેશમાં ઉચ્ચ અભ્યાસ કરવાનો નિર્ણય કર્યો. 

આવા કપરા સંજોગોમાં મુંબઇના મલબાર ખાતે સયાજીરાવનો ઉતારો હતો. ડો. ભીમરાવે આ સ્થિતિ વિશે તેમને અવગત કરાવવાનો નિર્ણય લીધો. બંનેની મુલાકાત થઈ. સમગ્ર બાબતની જાણ કરાઇ. કેટલીક બાબતો મહારાજાને પહેલેથી જ ધ્યાન ઉપર આવી હતી. આ દરમિયાન વિદેશમાં અભ્યાસ અંગેની પણ ચર્ચા થઈ અને મહારાજા સહમત થયા. 

વર્ષ 1913માં ભીમરાવ અમેરિકા અભ્યાસ કરવા ગયા

ચોથી એપ્રિલ 1913ના રોજ પ્રતિ માસ 11.5 પાઉન્ડની શિષ્યવૃત્તિ મંજૂર કરવામાં આવી. શિષ્યવૃત્તિ માટે જામીનની કેટલીક શરતો પણ રદ કરવામાં આવી હતી. ડો. ભીમરાવ આંબેડકર અમેરિકા અભ્યાસ કરવા ગયા હતા. ત્યાં અભ્યાસ પૂર્ણ કરીને પરત આવતા હતા ત્યારે પહેલા વિશ્વ યુદ્ધ ચરમસિમા પર હતું. આ દરમિયાન ડો. ભીમરાવ આંબેડકર અલગ જહાજ મારફત અને સામાન અલગ અન્ય શીપ મારફત ભારત આવી રહ્યા હતા. આ દરમિયાન હુમલાની ઘટના બની અને ડો. ભીમરાવનો તમામ સામાન ડૂબી ગયો. 

મહારાજાએ 300 રૂપિયા નુકસાનીનું વળતર આપ્યું 

હવે પછીની ઘટના ઓછી જાણીતી છે. એ બાદ ડો. ભીમરાવે વડોદરા રાજ્યની નોકરી ફરી શરૂ કરી હતી. ત્યારે મહારાજાને સામાનનું નુકસાન થયા અંગેની જાણકારી મળી અને તેમણે સપ્ટેમ્બર 1917માં એક ખાસ ‘હુજૂર હુકમ’ બહાર પાડ્યો અને મહારાજાએ આ નુકસાનીનું વળતર આપ્યું હતું.


આ હુકમમાં એવો ઉલ્લેખ વાંચવા મળે છે કે, માસિક 150 રૂપિયાના પગારે ડો. ભીમરાવ આંબેડકરને એકાઉન્ટન્ટ જનરલની ઓફિસમાં પ્રોબેશનર તરીકે રાખવામાં આવે છે. સાથે અમેરિકાથી પરત ફરતી વખતે સામાન ડૂબી જવાથી થયેલા નુકસાન બદલ 300 રૂપિયા ગિફ્ટ કવર તરીકે મંજૂર કર્યા હતા. આ રકમ ખાનગી ડિપાર્ટમેન્ટમાં ચૂકવવા એવો આદેશ થયો હતો. ત્યારબાદ વડોદરામાં નોકરી દરમિયાન તિરસ્કાર અને બાદમાં કમાટીબાગના વડલાની નીચે બેસી ડો. આંબેડકરે કરેલું ચિંતન વિખ્યાત છે. એ પછી ભારતમાં સમતાનો નવો આધ્યાય શરૂ થયો.