Get The App

પંચમહાલના વરિયાલ ગામે 50 વર્ષથી રહેતા વૃદ્ધ દંપતનીના ઘરને સીલ કરાયું, ગેરકાયદે કબજો હોવાથી તંત્રની કાર્યવાહી

Updated: Nov 26th, 2025

GS TEAM

Google News
Google News
પંચમહાલના વરિયાલ ગામે 50 વર્ષથી રહેતા વૃદ્ધ દંપતનીના ઘરને સીલ કરાયું, ગેરકાયદે કબજો હોવાથી તંત્રની કાર્યવાહી 1 - image

Panchmahal News : પંચમહાલના શહેરા તાલુકાના વરિયાલ ગામે કડાણા યોજનાના અસરગ્રસ્તોને પુનઃવસવાટ માટે ફાળવેલી જમીનમાં એક પરિવાર અનઅધિકૃત રીતે રહેતો હોવાનું જણાતા તંત્ર દ્વારા મકાનને સીલ કરવામાં આવ્યું છે. વર્ષોથી ખેતી કરીને અને ઘર બનાવીને રહેતા પરિવારનો આશરો છીનવાતા પરિવાર ચિંતામાં મુકાયો છે. 

પંચમહાલના વરિયાલ ગામે 50 વર્ષથી રહેતા વૃદ્ધ દંપતનીના ઘરને સીલ કરાયું

મળતી માહિતી મુજબ, પંચમહાલના શહેરા તાલુકાના વરિયાલ, ડેમલી અને બામરોલી સહિતના ગામમાં કડાણા જળાશયમાં ડુબાણમાં ગયેલી જમીનના અસરગ્રસ્તોને લોકોને સરકાર દ્વારા પુન:વસવાટ માટે વર્ષો પહેલા જમીન ફાળવવામાં આવી હતી. જોકે, આ જમીન પર અમુક લોકોએ અનઅધિકૃત કબજો કર્યો હોવાનું તંત્રને ધ્યાને આવ્યા બાદ નોટિસ ફટકારવામાં આવી હતી. 

પંચમહાલના વરિયાલ ગામે 50 વર્ષથી રહેતા વૃદ્ધ દંપતનીના ઘરને સીલ કરાયું, ગેરકાયદે કબજો હોવાથી તંત્રની કાર્યવાહી 2 - image

તેમજ કડાણા ડેમના અસરગ્રસ્તોને પુન:વસવાટ માટે ડેમલી અને વરિયાલ સહિતના ગામમાં ફાળવેલી જમીનની અલગ-અલગ ટીમો દ્વારા સર્વેની કામગીરી કરવામાં આવી હતી, ત્યારે વરિયાલ ગામના નાયક ફળીયામાં સર્વેની કામગીરી દરમિયાન ભાથીજી મંદિરની સામેના એક મકાનમાં અનઅધિકૃત રીતે એક પરિવાર વસવાટ કરતો હોવાનું સામે આવતા તંત્રએ ચોક્કસ મુદત પર કબજો હટાવવા હુકમ કર્યો હતો. પરંતુ મકાનમાં રહેતા પરિવારે કબજો ખાલી ન કરતા કડાણા જળાશય યોજનાના કાર્યપાલક ઈજનેર સહિતના ટીમ મકાનને સીલ કરવામાં આવ્યું છે. 

ગરીબ અને ખેતી પર નિર્ભર અભાભાઈ નાયકનું મકાન તંત્ર દ્વારા સીલ કરાતાં પરિવાર મુશ્કેલીમાં મુકાયો છે. અભાભાઈ નાયકે જણાવ્યું હતું કે, આ જંગલની જમીનમાં 50 વર્ષથી અમે રહીએ છીએ અને જમીન ખેડતા હતા. મારૂ પરિવાર જે ઘરમાં રહેતુ હતું તે ઘરને સીલ મારી દીધું છે. મારૂ પરિવાર રોડ પર આવી ગયું છે. મને સરકાર ન્યાય આપે તેવી આશા રાખી રહ્યો છું. જોકે કડાણા જળાશય યોજનાના અસરગ્રસ્તોને ફાળવવામાં આવેલી જમીન તેઓને મળે તે માટે તંત્ર દ્વારા કાર્યવાહી કરવામાં આવી રહી હોવાનું જણાય છે.

પંચમહાલના વરિયાલ ગામે 50 વર્ષથી રહેતા વૃદ્ધ દંપતનીના ઘરને સીલ કરાયું, ગેરકાયદે કબજો હોવાથી તંત્રની કાર્યવાહી 3 - image

આ પણ વાંચો: ડિજિટલ એરેસ્ટના કારણે વડોદરામાં ખેડૂતના આપઘાતનો કેસ, સુરતથી 2 આરોપીની ધરપકડ

કડાણા જળાશય યોજનાના અસરગ્રસ્તોને ફાળવેલી જમીન વહેલીતકે તેઓને મળે તે માટે તંત્ર દ્વારા જરૂરી કાર્યવાહી કરવામાં આવી રહી છે,ત્યારે બીજી તરફ આ જમીનમાં વર્ષોથી રહેતા અનેક લોકોને જમીનમાં તેમનો હક હોવાથી રાજ્યના મુખ્યમંત્રી સહિત સંબંધિત તંત્રને રજૂઆત કરાશે.