ગુંડાગીરી, કૌભાંડ, ભાજપ-કોંગ્રેસનું સેટિંગ ભાજપની હારનું કારણ બન્યાં
ભાજપના ઉમેદવાર સામે 'આપ' દ્વારા ગંભીર આરોપ લગાવાયા હતા : જૂનાગઢમાં ગેરકાયદે હાઈરાઈઝ બિલ્ડિંગ, સહકારી મંડળીનાં કૌભાંડ, ગુંડાઓને પ્રોત્સાહન આપવાના મુદ્દા ચૂંટણીમાં ચર્ચાસ્પદ રહ્યા
જૂનાગઢ, : ભાજપના ઉમેદવાર કિરીટ પટેલની હાર પાછળ અનેક કારણો છે, જેમાં મુખ્યત્વે સહકારી મંડળી અને બેંકની ભરતીનાં કથિત કૌભાંડ, જૂનાગઢમા સરકારી વોકળાને માલિકીનો બતાવી હાઈરાઈઝ કોમર્શીયલ બિલ્ડિંગ ખડકવું, ગુંડાઓને પ્રોત્સાહન, કોંગ્રેસ સાથે પાછલા બારણે સેટિંગ વગેરે પણ કારણભૂત મનાય છે.
વિસાવદરની પેટા ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર સામે આપના ઉમેદવારે અનેક પ્રકારના ગંભીર આરોપ લગાવ્યા હતા, જેમ કે જૂનાગઢ જીલ્લા સહકારી બેંકમાં મોટી રકમ લઈ ભરતી કર્યાના આક્ષેપ, સહકારી મંડળીમાં ખેડૂતોને ધિરાણ આપવામાં કરોડોના કૌભાંડ આચરી ખેડૂતોને દેવાદાર બનાવી દીધાનો આરોપ, ખેડૂતોએ મંડળીના કૌભાંડના કારણે આત્મહત્યા કરવાનો મુદ્દો, જૂનાગઢ શહેરના ઝાંઝરડા રોડ પર સરકારી વોકળો અને ખરાબાને માલિકીનો દર્શાવી ગેરકાયદેસર મંજુરી મેળવી કોમર્શીયલ બિલ્ડીંગ બનાવાયું એ મુદ્દો આ ઉપરાંત વિસાવદર પંથકમાં ગુંડાઓને પ્રોત્સાહન આપી ગુંડાગીરી કરી હોવાના ગંભીર આરોપ કિરીટ પટેલ પર આપના ઉમેદવાર ગોપાલ ઈટાલીયાએ લગાવ્યા હતા. સૌથી મહત્વનું સ્ટીંગ ઓપરેશન થયું હતું જેમાં ભાજપ-કોંગ્રેસની શંકાસ્પદ સાંઠગાંઠ ખુલ્લી પડી હતી. સુરતમાંથી મત દેવા માટે આવતા મતદારોની બસને પોલીસે અટકાવી એ સહિતના અનેક મુદ્દે આપ દ્વારા ભાજપને સાણસામાં લેવાનો પ્રયત્ન થયો હતો અને તેમાં તેને સફળતા મળી છે.
કિરીટ પટેલ સામે ટિકિટ માંગી તેને પણ સાઈડલાઈન કરી દેવાયા
કિરીટ પટેલે સંગઠનના અનેક હોદ્દેદારોને ગણકાર્યા ન હોવાનો વસવસો ભાજપના આગેવાનો દ્વારા પ્રચારમાં આવેલા નેતાઓ સમક્ષ વ્યક્ત કરવામાં આવ્યો હતો. જેટલા લોકોએ તેમની સામે ટિકિટની માંગણી કરી હતી તેવા લોકોને સાઈડલાઈન કરી દેવામાં આવ્યા હતા. આ ઉપરાંત જૂનાગઢના ધારાસભ્યએ પણ કિરીટ પટેલના ગેરકાયદેસર બિલ્ડિંગનો વિરોધ કર્યો હોવાથી તેમને પણ સાઈડલાઈન કરવામાં આવ્યા હતા. જૂનાગઢના ભાજપના જ ધારાસભ્ય કડવા પટેલ છે અને તેના વિસાવદરમાં મત નથી તેથી તેને સાઈડલાઈન કરવાનો પ્રયત્નો થયો પરંતુ માણાવદરના ધારાસભ્ય પણ કડવા પટેલ છે તો તેમને વિસાવદરમાં દોડાવવામાં આવતા હતા. આવા અનેક કારણો પણ હારનું પાસું બન્યા છે.