Get The App

રાજકોટમાં તોતિંગ હોર્ડીંગ, 30 વૃક્ષો ધરાશાયી, કોટડાસાંગાણીમાં વીજળી પડી, 10 ઘેટાંના મોત

Updated: May 22nd, 2025

GS TEAM


Google News
Google News
રાજકોટમાં તોતિંગ હોર્ડીંગ, 30 વૃક્ષો ધરાશાયી, કોટડાસાંગાણીમાં વીજળી પડી, 10 ઘેટાંના મોત 1 - image


સૌરાષ્ટ્રમાં વિનાશક વરસાદ: ગોંડલમાં અનેક વૃક્ષો પડયા,  વીજ વાયર તુટતા અંધારપટ: વડિયા પંથકમાં કરાં સાથે વરસાદ,જામજોધપુર એક ઈંચ  વરસાદ : કૃષિને નુક્સાન  : પ્રિમોન્સૂન તૈયારીની પોલ ખુલી 

રાજકોટ, : સૌરાષ્ટ્રમાં આજે સાંજ સુધી પરસેવે રેબઝેબ કરતા અસહ્ય બફારા બાદ સાંજે ગાજવીજ અને વાવાઝોડા જેવા તીવ્ર પવન સાથે વરસાદ વરસ્યો હતો. રાજકોટ,ગોડલ,અમરેલી,જામજોધપુર પંથકમાં વરસાદ તો અર્ધાથી એક ઈંચ વરસ્યો પણ પ્રિમોન્સૂન તૈયારીની પોલંપોલની ફરિયાદો વચ્ચે અનેક બોર્ડ ઉડયા,વૃક્ષો ધસી પડયા,રસ્તા બંધ થયા હતા અને સામાન્ય વરસાદે જળબંબાકાર સર્જાયો હતો.રાજકોટમાં બે સ્થળે તોતિંગ હોર્ડીંગ બોર્ડ અને ૩૦થી વધુ સ્થળે વૃક્ષો અને તેની ડાળીઓ ધસી પડી હતી. સામાન્ય વરસાદે વાહનો પસાર ન થઈ શકે એટલા પાણી  ભરાયા હતા અને તંત્રની પ્રિમોન્સૂન કામગીરીની પોલંપોલ ખુલી પડી હતી. 

રાજકોટમાં બપોરે 42.3 સે.તાપમાને અસહ્ય બફારા બાદ સાંજે ગાજવીજ સાથે અર્ધો ઈંચ અને ક્યાંક તો તેથી પણ ઓછો વરસાદ વરસ્યો હતો. દોઢસો ફૂટરીંગરોડ પર વિશાળકાય હોર્ડીંગ બોર્ડ ધસી પડતા મોટી જાનહાનિ સ્હેજમાં અટકી હતી. ફાયરબ્રિગેડ સ્ટાફ,પોલીસ ઘટના સ્થળે દોડી ગયા હતા. આ ઉપરાંત સર્કિટહાઉસના પ્રવેશદ્વારમાં વૃક્ષની ડાળી ધસી પડી હતી તો જાગનાથપ્લોટ-૪૧માં મોટુ હોર્ડીંગ બોર્ડ પણ ધરાશાયી થયું હતું. બજારોમાં બેફામ લગાવેલા બોર્ડ-બેનર્સ ઉડયા હતા. દોઢસો ફૂટરીંગરોડ પર મવડી વિસ્તારમાં રસ્તા પર નદી વહેતી હોય તેવા પાણી ભરાયા હતા. ધમધમતી વગડ ચોકડીએ ખોદાયેલા રસ્તા પર પાણી પડતા મોટરકારો સહિત વાહનોના વ્હીલ ખુંપી ગયા હતા.વોર્ડ નં.૧૩માં પાણી ભરાતા ટ્રાફિક જામ થયો હતો.મનપાની ઘોર બેદરકારી સામે ઠેરઠેરથી લોકોએ રોષ વ્યક્ત કર્યો હતો. 

કોટડાસાંગાણી તાલુકાના વાદીપરા ગામની સીમમાં આજે વિજળી પડતા 10 ઘેંટાઓના મૃત્યુ થયાનુ જાહેર થયું છે. તીવ્ર પવન સાથે વરસાદથી વિજપૂરવઠો ખોરવાયો હતો અને વૃક્ષો,થાંભલા ધરાશાયી થયા હતા.  ગોંડલમાં મીની વાવાઝોડા સાથે દસ મિનિટમાં પોણો ઈંચ વરસાદથી તુલસીબાગ, મહાદેવવાડી, મહિલા કોલેજ, પેલેસરોડ વિસ્તારમાં તોતીંગ વૃક્ષો અને સિવિલ હોસ્પિટલ પાસે વિજથાંભલો ધસી પડયો હતો. અનેક સ્થળે વિજવાયર તુટતા શહેરમાં અનેક લત્તામાં અંધારપટ છવાયો હતો.વૃક્ષો પડવાથી અનેક માર્ગો બંધ થયા હતા.  જામજોધપુરમાં સાંજે ગાજવીજ સાથે એક ઈંચ વરસાદ વરસી ગયો હતો જેનાથી ખેડૂતોને તલ,મગ જેવા પાકોમાં નુક્શાન થયું છે. ભાયાવદરમાં ભારે ઉકળાટ વચ્ચે અર્ધા ઈંચ વરસાદથી રસ્તા પર ધસમસતુ પાણી વહેતું થયું હતું.  અમરેલીના વડિયા પથકના ગામોમા વિજળીના કડાકાભડાકા સાથે વરસાદ સાથે  રામપુર ગામે કરાં વરસ્યા હતા. કમોસમી વરસાદથી કૃષિને નુક્શાન વધી રહ્યાની ચિંતા ખેડૂતોએ વ્યક્ત કરી છે. 

Tags :