અમદાવાદ: સ્પેશિયલ મેરેજ કચેરીના રજીસ્ટ્રાર પર સત્તાના દુરુપયોગનો આરોપ, સસ્પેન્ડ કરવા હિન્દુ સંગઠનો-સંસ્થાઓની માગ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Ahmedabad News : અમદાવાદમાં સ્પેશિયલ મેરેજ રજિસ્ટ્રાર કચેરી ખાતે મુસ્લિમ યુવક અને હિન્દુ યુવતીના લગ્નને લઈને મોટો વિવાદ ઊભો થયો છે. આ મામલે સ્પેશિયલ મેરેજ રજિસ્ટ્રાર એમ.એમ. સૈયદ સામે કડક કાર્યવાહી કરવાની માગ સાથે રાજ્યપાલને પત્ર લખવામાં આવ્યો છે. આ વિવાદને પગલે સામાજિક સંગઠનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે અને સમગ્ર ઘટનાએ હવે રાજકીય અને સામાજિક વળાંક લીધો છે.
સત્તાના દુરુપયોગના આરોપ સાથે મેરેજ રજિસ્ટ્રારને સસ્પેન્ડ કરવા હિન્દુ સંગઠનોની માગ
વિશ્વ હિન્દુ પરિષદ (VHP)ના કેન્દ્રીય સહ મંત્રી ધર્મેન્દ્ર પટેલ દ્વારા રાજ્યપાલને લખવામાં આવેલા પત્રમાં રજિસ્ટ્રાર એમ.એમ. સૈયદની કામગીરી સામે ગંભીર સવાલો ઉઠાવવામાં આવ્યા છે. આ માંગણીમાં માત્ર VHP જ નહીં, પરંતુ વિશ્વ ઉમિયાધામ, SPG (સરદાર પટેલ ગ્રુપ), ખોડલધામ અને તેર ગામ લેઉઆ પાટીદાર સમાજ દહેગામ જેવા અગ્રણી સામાજિક સંગઠનો પણ જોડાયા છે. આ તમામ સંગઠનોએ એકસૂરે મુખ્ય રજિસ્ટ્રાર સૈયદને તાત્કાલિક અસરથી ફરજ મોકૂફ (સસ્પેન્ડ) કરવાની ઉગ્ર માગ કરી છે.
આ પણ વાંચો: ભદ્ર પરિસરમાં 586 પાથરણાવાળાને ફરી જગ્યા આપો: ગુજરાત હાઈકોર્ટનો AMCને આદેશ
સામાજિક સંગઠનોએ આક્ષેપ કર્યો છે કે, લગ્ન નોંધણીની પ્રક્રિયામાં નિયમોનું ઉલ્લંઘન કરવામાં આવ્યું હોઈ શકે છે. આથી, રજિસ્ટ્રાર સૈયદ દ્વારા અત્યાર સુધી કુલ કેટલી લગ્ન નોંધણી કરવામાં આવી છે અને તેમાં કોઈ ગેરરીતિ થઈ છે કે કેમ તેની ઊંડાણપૂર્વક તપાસ કરવા માટે સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ (SIT)ની રચના કરવાની પણ માગ કરવામાં આવી છે. હાલ આ મામલે તંત્રના આગામી પગલાં પર સૌની નજર ટકેલી છે.









