Gujarat

હિંમતનગરમાં પોન્ઝી સ્કીમોનો રાફડો: 'બિગ બુલ'ના સંચાલકો દ્વારા રોકાણકાર સાથે 4 લાખની છેતરપિંડી

By GS TEAM
23 Dec 20252 mins read
TukuTouch Logo
સાબરકાંઠાના હિંમતનગરમાં એક પછી એક પોન્ઝી સ્કીમોના કૌભાંડ સામે આવી રહ્યા છે. શહેર જાણે ઠગાઈનું એપિસેન્ટર બની ગયું હોય તેમ બીઝેડ (BZ) બાદ હવે 'બીગબુલ' (Big Bull) પોન્ઝી સ્કીમના સંચાલકો સામે વધુ એક પોલીસ ફરિયાદ નોંધાઈ છે. આ સ્કીમમાં વધુ એક રોકાણકારે લાખો રૂપિયા ગુમાવ્યા હોવાનું સામે આવ્યું છે.

Summarized by AI; it may make mistakes. Check important info

હિંમતનગરમાં પોન્ઝી સ્કીમોનો રાફડો: 'બિગ બુલ'ના સંચાલકો દ્વારા રોકાણકાર સાથે 4 લાખની છેતરપિંડી

Gujarat Crime News : સાબરકાંઠાના હિંમતનગરમાં એક પછી એક પોન્ઝી સ્કીમોના કૌભાંડ સામે આવી રહ્યા છે. શહેર જાણે ઠગાઈનું એપિસેન્ટર બની ગયું હોય તેમ બીઝેડ (BZ) બાદ હવે 'બીગબુલ' (Big Bull) પોન્ઝી સ્કીમના સંચાલકો સામે વધુ એક પોલીસ ફરિયાદ નોંધાઈ છે. આ સ્કીમમાં વધુ એક રોકાણકારે લાખો રૂપિયા ગુમાવ્યા હોવાનું સામે આવ્યું છે.

ઊંચા વળતરની લાલચ આપી 4 લાખ ખંખેર્યા 

હિંમતનગર બી ડિવિઝન પોલીસ મથકે નોંધાયેલી ફરિયાદ અનુસાર, કૌભાંડીઓએ જામળા ગામના એક રોકાણકારને ટાર્ગેટ કર્યા હતા. આરોપીઓએ રોકાણકારને ટૂંકા ગાળામાં ઊંચા વળતરની લાલચ આપી વિશ્વાસમાં લીધા હતા અને તેમની પાસે 4 લાખ રૂપિયાનું રોકાણ કરાવ્યું હતું. જોકે, સમય વીતવા છતાં વળતર ન મળતા અને મુદ્દલ રકમ પણ પરત ન આવતા રોકાણકારને પોતાની સાથે છેતરપિંડી થયાનો અહેસાસ થયો હતો.

આ પણ વાંચો: ક્રિસમસ અને થર્ટી ફર્સ્ટ પર અમદાવાદમાં માત્ર ગ્રીન ફટાકડાને જ મંજૂરી, સમયમર્યાદા પણ નક્કી

મુખ્ય સૂત્રધાર જગદીશ ગોસ્વામી ભૂગર્ભમાં 

પોલીસે આ છેતરપિંડી મામલે બીગબુલ સ્કીમના મુખ્ય સંચાલક જગદીશ ગોસ્વામી સહિત કુલ ત્રણ ઈસમો સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે, જગદીશ ગોસ્વામી વિરુદ્ધ અગાઉ પણ ફરિયાદ નોંધાઈ ચૂકી છે અને તે પ્રથમ ફરિયાદ બાદથી જ પોલીસ પકડથી બચવા ભૂગર્ભમાં ઉતરી ગયો છે.

એઆર, બીગબુલ અને બીઝેડના આરોપીઓ હજુ પોલીસ પકડથી દૂર 

હિંમતનગરમાં તાજેતરમાં બીઝેડ (BZ) પોન્ઝી સ્કીમ સામે થયેલી કડક કાર્યવાહી બાદ ભોગ બનનારા અન્ય રોકાણકારોમાં પણ હિંમત આવી છે, જેને કારણે હવે ફરિયાદોનો સિલસિલો શરૂ થયો છે. શહેરમાં એઆર (AR), બિગ બુલ અને બીઝેડ જેવી અનેક સ્કીમો ચાલી રહી હતી. જોકે, આ કૌભાંડો આચરનારા અનેક મુખ્ય આરોપીઓ હજુ પણ પોલીસ પકડથી દૂર હોવાથી રોકાણકારોમાં રોષની લાગણી જોવા મળી રહી છે.