Gujarat

અમદાવાદથી ખાત્રજ, મહેમદાવાદ થઇને પદયાત્રિકો ડાકોર તરફ રવાના

By GS TEAM
28 Feb 20262 mins read
અમદાવાદથી ખાત્રજ, મહેમદાવાદ થઇને પદયાત્રિકો ડાકોર તરફ રવાના

હોળી ઉત્સવને લઇ ડાકોર પોલીસ છાવણીમાં ફેરવાયું

દર્શનાર્થીઓ ગામની ગલીઓમાંથી ન ઘૂસે તે માટે 10 જગ્યાએ પતરા મારી પ્રવેશ રોકાયો, દર દસ કિ.મી. માટે મેડિકલ કેમ્પ 

ડાકોર: યાત્રાધામ ડાકોરમાં ફાગણી પૂનમના ઉત્સવને તંત્ર દ્વારા તડામાર તૈયારીઓ શરૂ કરાઇ છે. ડાકોર મંદિર સહિત શહેર પોલીસ છાવણીમાં ફેરવાયું છે. આ ઉત્સવ દરમિયાન સીસીટીવી કેમેરાથી બાજનજર રખાશે અને એનડીઆરએફની ટીમો પણ તૈનાત કરી દેવામાં આવી છે. અમદાવાદથી ખાત્રજ, મહેમદાવાદ, સિંહુજ, મહુધાથી મોટી સંખ્યામાં ડાકોર તરફ પદયાત્રિકોઓ આવી રહ્યાં છે. 

ડાકોરમાં રણછોડરાયજી મંદિર વિસ્તારમાં સઘન પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યા છે. મંદિરના માર્ગો પર દર્શનાર્થીઓ ગામની ગલીઓમાથી ન ઘૂસી જાય તે માટે ૧૦ જગ્યાએ પતરા મારીને પ્રવેશ રોકવામાં આવ્યા છે. મંદિર પાસે લોખંડના દરવાજા પણ લગાડવામાં આવ્યા છે. દરેક આડબંધ પર મહિલા પોલીસ અને હોમગાર્ડના જવાનો તૈનાત કરાયા છે. 

આરોગ્ય વિભાગ દ્વારા અમદાવાદના રાસ્કાથી દસ દસ કિલોમીટરના અંતરે આરોગ્ય કેમ્પ પદયાત્રિકો માટે કરાયા છે. જેમાં મેડિકલ ઓફિસર અને કર્મચારીઓનો સ્ટાફ પણ રખાયો છે. અમદાવાદથી ડાકોરના ૮૦ કિલોમીટરના રૂટ પર સેવાભાવી સંસ્થાઓ દ્વારા વિનામુલ્યે નાસ્તો, પીવાના પાણી, ફૂટનું વિતરણ પણ કરવામાં આવે છેે. 

ડાકોરમાં હોળીના ઉત્સવને લઇ ડીવાયએસપી ૧૫, પીઆઇ-૩૨, પીએસઆઇ-૧૦૮, પોલીસ કોન્સ્ટેબલ -૫૬૮, મહિલા કોન્સ્ટેબલ -૧૪૦, હેડ કોન્સ્ટેબલ ૭૪૫, જીઆરડી ૨૨૬, એસઆરપી-૨૩૧, ટીઆરબી-૮૧ અને ક્રાઇમબ્રાન્ચ અને બોમ્બ સ્કોવર્ડ ગોઠવાશે. 

- ચંદ્રગ્રહણના કારણે તારીખ 3 માર્ચે બપોરે 2 વાગ્યાથી મંદિર બંધ કરાશે 

યાત્રાધામ ડાકોર મંદિર ચંદ્રગ્રહણ હોવાથી તા.૩ માર્ચના મંગળવારે બપોરે ૨ વાગ્યાથી બંધ કરી દેવામાં આવશે. તા.૪ માર્ચના બુધવારના રોજ સવારે નિત્યક્રમ મુજબ સવારે ૬.૪૫ વાગ્યા દર્શન માટે મંદિર ખુલશે.