વિશ્વ આરોગ્ય દિવસ : હોસ્પિટલમાં દાખલ થવા પાછળ સૌથી વધુ ખર્ચ, ગુજરાત ચોથા ક્રમે
World Health Day 2025: સારા આરોગ્યને સુખની પ્રથમ ચાવી ગણવામાં આવે છે. વર્તમાન સમયમાં બ્લડપ્રેશર, ડાયાબિટિસ જેવી સમસ્યા અનેક દર્દીઓમાં જોવા મળતી હોય છે. મેડિકલ સાયન્સ હરણફાળ ભરી રહ્યું છે અને તેના લીધે તમામ બીમારીનો ઈલાજ શક્ય બન્યો છે. ગુજરાતની વાત કરવામાં આવે તો પ્રત્યેક પરિવાર હોસ્પિટલમાં દાખલ થવા પાછળ દર વર્ષે સરેરાશ રૂપિયા 7 હજારનો ખર્ચ કરે છે.
ગુજરાતના શહેરી કરતાં ગ્રામ્ય વિસ્તારમાં હોસ્પિટલમાં દાખલ થવા પાછળ 48 ટકા ઓછો ખર્ચ થાય છે
દર વર્ષે 7 એપ્રિલની ઉજવણી ‘વિશ્વ આરોગ્ય દિવસ તરીકે કરવામાં આવે છે. પરિવારદીઠ દર વર્ષે હોસ્પિટલમાં દાખલ થવા પાછળ સૌથી વધુ ખર્ચ થતો હોય તેવા રાજ્યમાં ગુજરાત ચોથું સ્થાન ધરાવે છે. નેશનલ સેમ્પલ સર્વે ઓફિસના અભ્યાસ અનુસાર શહેરી પરિવારમા હોસ્પિટલમાં દાખલ પાછળ દર વર્ષે સરેરાશ સૌથી વધુ ખર્ચ થતો હોય તેમાં કેરળ રૂપિયા 13140 સાથે મોખરે, મહારાષ્ટ્ર રૂપિયા 9122 સાથે બીજા, પંજાબ રૂપિયા 8272 સાથે ત્રીજા જ્યારે ગુજરાત રૂપિયા 7711 સાથે ચોથા સ્થાને છે.
શહેરી વિસ્તામાં એક ગુજરાતી હોસ્પિટલમાં દાખલ થાય તો તેની પાછળ સરેરાશ રૂપિયા 2014નો ખર્ચ થાય છે. ગુજરાતના શહેરી કરતાં ગ્રામ્ય વિસ્તારમાં હોસ્પિટલમાં દાખલ થવા પાછળ પ્રમાણમાં ઓછો ખર્ચ થાય છે. ગુજરાતના ગ્રામ્ય વિસ્તારમાં પરિવારદીઠ હોસ્પિટલમાં દાખલ થવા પાછળ વાર્ષિક સરેરાશ રૂપિયા 4071 ખર્ચ થતો હોવાનું આ અહેવાલમાં સામે આવ્યું છે.
આમ, શહેરી કરતાં ગ્રામ્ય વિસ્તારમાં હોસ્પિટલમાં દાખલ થવા પાછળ 48 ટકા ઓછો ખર્ચ થાય છે. આરોગ્ય પાછળ દર વર્ષે સૌથી વધુ ખર્ચ થતો હોય તેવા રાજ્યમાં ગુજરાત છઠ્ઠા સ્થાને છે. નાણાકીય વર્ષ 2018-19માં પ્રત્યેક ગુજરાતીના આરોગ્ય પાછળ સરેરાશ રૂપિયા 1751નો ખર્ચ થતો હતો.
પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં 1.44 કરોડથી વધુ દર્દી નોંધાયા
ગુજરાતમાં જાન્યુઆરી-2025 સુધીમાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર દ્વારા અંદાજે કુલ 1.44 કરોડથી વધુ અને સામૂહિક આરોગ્ય કેન્દ્ર દ્વારા કુલ 1.31 કરોડથી વધુ દર્દીઓને ઓપીડી થકી આરોગ્ય સેવાઓ પૂરી પાડવામાં આવી છે તેમ આરોગ્ય વિભાગે જણાવ્યું છે. આ ઉપરાંત આરોગ્ય વિભાગ દ્વારા રક્તપિાના દર્દીઓને ઉચ્ચામ સારવાર આપવામાં આવી રહી છે. જેના પરિણામે અત્યાર સુધીમાં રાજ્યમાં રક્તપિા પ્રમાણદર 0.39 જેટલો જ રહ્યો છે.
વધુ 6 સરકારી હોસ્પિટલમાં પેલિયેટિવ કેર વોર્ડ શરૂ કરાશે
આરોગ્ય વિભાગ દ્વારા ગંભીર કે જીવલેણ બિમારીથી પીડાતા દર્દી જ્યારે જીંદગીના અંતિમ તબક્કામાં હોય ત્યારે તેમને સારવારની સાથે સંભાળ પણ મળે તે માટે 6 સરકારી હોસ્પિટલમાં ‘પેલિયેટીવ કેર વોર્ડ શરૂ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. આ ઉપરાંત રાજ્યની સરકારી મેડિકલ કોલેજો અને સંલગ્ન હોસ્પિટલ તેમજ એમ. એન્ડ જે. ઈન્સ્ટીટ્યુટ ઓફ ઓપ્થાલ્મોલોજી અને સ્પાઈન ઇન્સ્ટીટયુટ, અમદાવાદ ખાતે રૂ. 100 કરોડના ખર્ચે નવા અત્યાધુનિક તબીબી સાધનો ઉપલબ્ધ કરવામાં આવશે તેમ પણ આરોગ્ય વિભાગે જણાવ્યું છે.