વિપુલ ચૌધરીના જામીન અંગે આજે હાઇકોર્ટ ચુકાદો સંભળાવશે
- વિપુલ ચૌધરીના સીએના જામીન મંજૂર થયા
અમદાવાદ,તા.21 ઓક્ટોબર 2022,શુક્રવાર
દૂધસાગર ડેરી(મહેસાણા જિલ્લા દૂધ ઉત્પાદક સંઘ)ના રૂ.૭૫૦ કરોડના ચકચારભર્યા કૌભાંડમાં ગુજરાતના પૂર્વ ગૃહ રાજયપ્રધાન વિપુલ ચૌધરીએ ગુજરાત હાઇકોર્ટમાં કરેલી જામીન અરજીમાં આજે તમામ પક્ષકારોની સુનાવણી પૂર્ણ થઇ હતી. જેને પગલે હાઇકોર્ટે વિપુલ ચૌધરીના જામીન પરનો ચુકાદો અનામત રાખ્યો હતો. જે સંભવતઃ આવતીકાલે સંભળાવાય તેવી શકયતા છે. બીજીબાજુ, ચૌધરીના ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ શૈલેષ પરીખના શરતી જામીન હાઇકોર્ટે મંજૂર કર્યા હતા.
રૂ.૭૫૦ કરોડના કોભાંડમાં ચૌધરીએ કરેલી જામીનઅરજીમાં તમામ પક્ષકારોની સુનાવણી પૂર્ણ
મહેસાણા સેશન્સ કોર્ટ દ્વારા તાજેતરમાં જ વિપુલ ચૌધરીની જામીન અરજી ફગાવી દેવામાં આવી હતી, જેને પગલે વિપુલ ચૌધરીએ ગુજરાત હાઇકોર્ટમાં દાખલ કરેલી રેગ્યુલર જામીનમાં સિનિયર એડવોકેટ નિરૂપમ નાણાવટી અને આર.જે.ગોસ્વામીએ રજૂઆત કરતાં જણાવ્યું હતું કે, પ્રસ્તુત કેસમાં અરજદારે કોઇ નાણાંકીય ઉચાપત કરી નથી, તેમછતાં તેમને ખોટી રીતે આ કેસમાં સંડોવી દેવાયા છે. ફરિયાદપક્ષના આક્ષેપ મુજબ, સમગ્ર કથિત ગેરરીતિ સને ૨૦૦૬થી ૨૦૧૫ વચ્ચેની છે, તેમછતાં ફરિયાદ સાત વર્ષ પછી દાખલ કરાઇ છે. અરજદારને માત્રને માત્ર રાજકીય કિન્નાખોરીનો ભોગ બનાવાઇ રહ્યા છે અને તેથી કાયદાકીય પ્રક્રિયાનો દૂરપયોગ કરીને તેમની વિરૂધ્ધ ફરિયાદ કરાઇ છે. વાસ્તવમાં, વિધાનસભાની ચૂંટણીઓ આવી રહી છે અને અરજદારે તાજેતરમાં અર્બુદા સેનાની સ્થાપના કરી છે, તેથી રાજકીય અદાવતના ભાગરૂપે તેમને આ કેસમાં સંડોવવામાં આવ્યા છે. અરજદાર વિરૂધ્ધનો સમગ્ર કેસ રાજકીય બદઇરાદાપૂર્વકનો અને પોલીટીકલ પ્રેશર પ્રેરિત હોઇ હાઇકોર્ટે તેમને જામીન આપવા જોઇએ.
વિપુલ ચૌધરી વિરૂધ્ધ શું આરોપ છે..??
દૂધસાગર ડેરીના ચેરમેન તરીકેના ૨૦૦૫થી ૨૦૧૬ સુધીના કાર્યકાળ દરમ્યાન વિપુલ ચૌધરીએ પોતાની સત્તાનો દૂરપયોગ કરીને ટેન્ડર પ્રક્રિયા હાથ ધર્યા વિના દૂધ ઠંડુ રાખવાના મશીન, કોન્ટ્રાકટરો પાસેથી બીડ મંગાવ્યા વિના કોન્ટ્રાકટ આપવા, બારોબાર વર્ક ઓર્ડર આપવા સહિતના મામલે કરોડોની ગેરરીતિ અને નાણાંકીય ઉચાપત આચર્યા હોવાના આરોપસર એસીબી દ્વારા ગત તા.૧૫ સપ્ટેમ્બરના રોજ વિપુલ ચૌધરીની તેમના નિવાસસ્થાનેથી ધરપકડ કરવામાં આવી હતી.