Get The App

વૈકલ્પિક વ્યવસ્થામાં અસુવિધા મુદ્દે કમિશનર, બે ડેપ્યુટી કમિશનર સામે ચાર્જફેમ કરવાની હાઇકોર્ટે ચિમકી ઉચ્ચારી

Updated: Dec 25th, 2025

GS TEAM

Google News
Google News
વૈકલ્પિક વ્યવસ્થામાં અસુવિધા મુદ્દે કમિશનર, બે ડેપ્યુટી કમિશનર સામે ચાર્જફેમ કરવાની હાઇકોર્ટે ચિમકી ઉચ્ચારી 1 - image

- નડિયાદમાં ડિમોલિશન બાદ ફાળવેલા શેડમાં અસુવિધાના અભાવના પૂરાવા રજૂ થતાં કોર્ટ નારાજ 

- તમામ સુવિધા અપાયા બાદ કબજો સોંપાયોની મનપાની દલીલો કોર્ટે ફગાવી, અરજી કરનાર વ્યકિત મૂળ ભાડુઆતના પૌત્ર હોવાનું સામે આવતા હાઇકોર્ટે રજિસ્ટ્રી વિભાગ પાસે ખુલાસો માગ્યો

નડિયાદ : નડિયાદના સરદાર ભુવન કોમ્પ્લેક્સના વેપારીઓની દુકાનો રાતોરાત તોડી પાડયા બાદ વૈકલ્પિક વ્યવસ્થા તરીકે અપાયેલા પતરાંના શેડમાં અસુવિધા મુદ્દે બુધવારે ગુજરાત હાઈકોર્ટમાં સુનાવણી હાથ ધરાઈ હતી. હાઈકોર્ટે મહાનગરપાલિકાની કામગીરી સામે સખત નારાજગી વ્યક્ત કરતા કમિશનર અને બે ડેપ્યુટી કમિશનરો પર ચાર્જફ્રેમ કરવા સુધીની ચીમકી ઉચ્ચારી હતી. જોકે, સુનાવણીના અંતિમ તબક્કે અરજી કરનાર વ્યક્તિ મૂળ ભાડુઆતના પૌત્ર હોવાનું સામે આવતા આ કેસમાં નવો વળાંક આવ્યો છે અને કોર્ટે રજીસ્ટ્રી વિભાગ પાસે અહેવાલ માંગ્યો છે.

નડિયાદ મહાનગરપાલિકા દ્વારા સોમવારે મોડી સાંજે સરદાર ભુવનના વેપારીઓને ડ્રો દ્વારા કાશીભાઈ પાર્ક પાસે પતરાંના શેડ ફાળવવાની નોટિસ આપી હતી. ત્યારબાદ મંગળવારે સવારે જેસીબી સાથે ત્રાટકીને આખું કોમ્પ્લેક્સ જમીનદોસ્ત કરી દેવાયું હતું. આ કાર્યવાહી સામે વેપારીઓએ અગાઉના કોર્ટના હુકમની અવમાનના થઈ હોવાનું જણાવી કન્ટેમ્પ્ટ પિટિશન દાખલ કરી હતી. બુધવારે સવારે યોજાયેલી પ્રથમ તબક્કાની સુનાવણીમાં કોર્ટે મનપાના વકીલની બચાવ દલીલો ફગાવી દીધી હતી. મનપાએ દાવો કર્યો હતો કે તમામ સુવિધાઓ અપાયા બાદ જ કબજો સોંપાયો છે, જેના જવાબમાં કોર્ટે ટકોર કરી હતી કે જો બધું જ યોગ્ય હોત તો વેપારીઓએ કોર્ટમાં આવવું પડયું ન હોત.

બપોર પછીની સુનાવણીમાં વેપારીઓ તરફથી ફોટોગ્રાફ્સ રજૂ કરવામાં આવ્યા હતા, જેમાં શેડ નાના હોવાને કારણે સામાન પણ ન સમાતો હોવાનું અને ફાયર, પાણી તેમજ ગટર જેવી પાયાની સુવિધાઓનો અભાવ હોવાનું સાબિત થયું હતું. આ બાબતે કોર્ટે મનપા કમિશનર ગુણવંતસિંહ સોલંકી, ડેપ્યુટી કમિશનર રુદ્રેશ હુદળ અને આનંદ ઉકાણી સામે આકરા વલણ સાથે ચીમકી આપતાં જણાવ્યું હતું કે, તમારી સામે ચાર્જ ફ્રેમ કેમ ન કરવો ? જોકે, આ દરમિયાન પીટિશનરની ઓળખ અંગે પ્રશ્ન ઉભો થયો હતો. જેમાં જાણવા મળ્યું હતું કે, મૂળ વેપારીના મૃત્યુ બાદ તેમના પૌત્રએ આ અરજી કરી છે. હાઈકોર્ટે આશ્ચર્ય વ્યક્ત કર્યું હતું કે, જે પક્ષકારનો દુકાન સાથે સીધો સંબંધ ન હોય તેમની અરજી કઈ રીતે સ્વીકારવામાં આવી ? હાલ આ મામલે રજીસ્ટ્રી વિભાગનો ખુલાસો માંગવામાં આવ્યો છે.

શેડમાં સુવિધાઓના અભાવે વેપારીઓની હાલત કફોડી

મહાનગરપાલિકા દ્વારા કાશીભાઈ પાર્ક પાસે ઉભા કરવામાં આવેલા પતરાંના શેડ માત્ર નામના જ હોવાના આક્ષેપો વેપારીઓએ કર્યા છે. કોર્ટમાં રજૂ કરાયેલા અદ્યતન ફોટોગ્રાફ્સ મુજબ, શેડની સાઈઝ એટલી નાની છે કે, વેપારીઓનો ધંધાનો સામાન પણ અંદર સમાઈ શકે તેમ નથી. આ ઉપરાંત પીવાના પાણી, શૌચાલય કે ફાયર સેફ્ટી જેવી કોઈ પણ વ્યવસ્થા ઉભી કર્યા વિના જ વેપારીઓને ત્યાં ખસેડવાની ફરજ પાડવામાં આવી હોવાનું સામે આવ્યું છે.

અધિકારીઓ પર ચાર્જફ્રેમ કરવા સુધીની કાર્યવાહીની તૈયારી

હાઈકોર્ટમાં સુનાવણી દરમિયાન મનપાના વકીલે બચાવ કરવાનો પ્રયાસ કરતા જણાવ્યું હતું કે, સુવિધાઓ આપવાની કામગીરી હજુ ચાલુ છે. આ સાંભળીને કોર્ટ વધુ રોષે ભરાઈ હતી અને સ્પષ્ટ શબ્દોમાં સંભળાવ્યું હતું કે જો કામગીરી અધૂરી હતી તો કબજો કેમ સોંપાયો? આ મામલે ગંભીરતા દાખવી કોર્ટે કમિશનર અને બે ડેપ્યુટી કમિશનરને લેખિત એફિડેવિટ રજૂ કરવા આદેશ કર્યો છે અને તેમની સામે કાયદેસરનો ચાર્જ કેમ ન ફ્રેમ કરવો તે અંગે ખુલાસો માંગ્યો હતો, જો કે, અંતમાં આ મામલે અરજદારને આ દુકાનો સાથે સીધો કોઈ સબંધ ન હોવાનું ખુલતા તે અંગે રજીસ્ટ્રી વિભાગ પાસે ખુલાસા સાથે રીપોર્ટ મંગાવાયો છે.