Gujarat

યુવાઓ હર્બલ સિરપના રવાડે, ખુલ્લેઆમ અટકાવાયા બાદ હવે છાનાખૂણે વેચાણ ચાલુ

By GS TEAM
17 Oct 20252 mins read
TukuTouch Logo
ગુજરાતમાં નફાખોરી માટે નશાનું વેચાણ સામાન્ય બન્યું હોય તેવા સંજોગો વચ્ચે, હવે દેશભરમાં બાળકોના મૃત્યુનું કારણ બનેલા કફ સિરપના જથ્થાનું ઉત્પાદન કે તેનો કાચો માલ ગુજરાતમાંથી સપ્લાય થતો હોવાનો ચોંકાવનારો ઘટસ્ફોટ થયો છે. આ સાથે જ બે વર્ષ અગાઉ યુવાઓને નશાનો ડોઝ પૂરો પાડતા હર્બલ સિરપનો વિવાદ પણ ફરી ચર્ચાના કેન્દ્રમાં આવ્યો છે, જેનું છાનાખૂણે વેચાણ હજુ પણ સક્રિય હોવાનું જણાય છે.

Summarized by AI; it may make mistakes. Check important info

યુવાઓ હર્બલ સિરપના રવાડે,  ખુલ્લેઆમ અટકાવાયા બાદ હવે છાનાખૂણે વેચાણ ચાલુ

Herbal Syrup in Gujarat: ગુજરાતમાં નફાખોરી માટે નશાનું વેચાણ સામાન્ય બન્યું હોય તેવા સંજોગો વચ્ચે, હવે દેશભરમાં બાળકોના મૃત્યુનું કારણ બનેલા કફ સિરપના જથ્થાનું ઉત્પાદન કે તેનો કાચો માલ ગુજરાતમાંથી સપ્લાય થતો હોવાનો ચોંકાવનારો ઘટસ્ફોટ થયો છે. આ સાથે જ બે વર્ષ અગાઉ યુવાઓને નશાનો ડોઝ પૂરો પાડતા હર્બલ સિરપનો વિવાદ પણ ફરી ચર્ચાના કેન્દ્રમાં આવ્યો છે, જેનું છાનાખૂણે વેચાણ હજુ પણ સક્રિય હોવાનું જણાય છે.

બાળકોનો ભોગ લેનાર કફ સિરપનો વિવાદ

બાળકોના મૃત્યુ નિપજાવનારા કફ સિરપનો વિવાદ દેશવ્યાપી બન્યા બાદ તેની તપાસમાં ચોંકાવનારી વિગતો સામે આવી છે. આ કફ સિરપ બનાવવા માટેનો કાચો માલ અમદાવાદ અને સુરેન્દ્રનગર જિલ્લાની કંપનીઓમાંથી જતો હોવાનું ખુલ્યું છે. આ ગંભીર મામલાને પગલે ગુજરાતના ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી છે. રાજ્યની 526 કફ સિરપ કે તેનો કાચો માલ ઉત્પાદન કરનારા એકમોમાં સઘન તપાસ શરૂ કરવામાં આવી છે. અધિકારીઓ દેશના જુદા જુદા વિસ્તારોમાં મોકલાતા કાચા માલ અને અન્ય ઉત્પાદનો અંગે ઊંડાણપૂર્વક તપાસ કરી રહ્યા છે, જેથી આ ગેરકાયદે નેટવર્કનો પર્દાફાશ થઈ શકે.

હર્બલ સિરપનું જૂનું 'નર્કનું નેટવર્ક' સક્રિય

બાળકોનો ભોગ લેનાર કફ સિરપના વિવાદના બે વર્ષ પહેલાં, યુવાઓ માટે નશો બની ચૂકેલા હર્બલ સિરપનો વિવાદ ચર્ચામાં આવ્યો હતો. આયુર્વેદિક સિરપના નામે અમુક પાનના ગલ્લા અને પાર્લરો પર કોલ્ડ ડ્રીંક્સની માફક તેનું બેરોકટોક વેચાણ થતું હતું. માત્ર દોઢસો રૂપિયામાં મળતી 'ચિલ્ડ બોટલ'માં 12થી 14 ટકા આલ્કોહોલ જેટલો નશો મળતો હતો, જે યુવાઓને આકર્ષતો હતો. આયુર્વેદિક સિરપમાં આ આલ્કોહોલ 'સેલ્ફ જનરેટેડ' હોય છે અને તેનો ઉપયોગ મૂળ દવા તરીકે થવો જોઈએ, પરંતુ તેનો ઉપયોગ નશાખોરી માટે થઈ રહ્યો હતો.

આ પણ વાંચો: ગોધરા નજીક મોડી રાત્રે બે લક્ઝરી બસો વચ્ચે ગમખ્વાર અકસ્માત: બે મહિલાના કમકમાટીભર્યા મોત, 15 ઇજાગ્રસ્ત

પોલીસ કાર્યવાહી અને છૂટું વેચાણ

આ પ્રકારની નશાખોરી અટકાવવા માટે પોલીસ તંત્રની એક વર્ષની મહેનત બાદ અંકુશ મેળવી શકાયો હતો. દેવભૂમિ દ્વારકા પોલીસે ગેરકાયદે સિરપ બનાવતી ફેક્ટરી ઉપરાંત પંજાબથી ગુજરાતમાં સિરપ મોકલતા શખસ સુધી પહોંચી હતી. પોલીસે અમદાવાદના ચિરાગ થોભાણી નામના ડિસ્ટ્રિબ્યુટરની ધરપકડ પણ કરી હતી. પંકજ અને ચિરાગના નેટવર્કે ગુજરાતના અડધો ડઝન જિલ્લામાં નશાકારક સિરપના ગેરકાયદે વેચાણનો પર્દાફાશ કર્યો હતો.

સૂત્રોના મતે, આ કાર્યવાહી છતાં હજી પણ અમદાવાદ, કચ્છ, રાજકોટ, જૂનાગઢ, જામનગર, સુરત, વડોદરા સહિતના મોટાભાગના જિલ્લાઓમાં ગેરકાયદે સિરપ વેચતી ચેઈન છાનાખૂણે સક્રિય છે. રાજ્યના ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની નિષ્ક્રિયતા અથવા નબળી તપાસને કારણે ઉત્પાદન-વેચાણ કરનારાઓ નામ અને પદ્ધતિઓ બદલીને વધુ ચાલાક પુરવાર થઈ રહ્યા છે.