અમદાવાદ શહેરમાં બેફામ ફરે છે યમદૂત જેવા ભારે વાહનો, પોલીસ કમિશનરના જાહેરનામાનો સરેઆમ ભંગ
Heavy Vehicles in Ahmedabad: અમદાવાદ શહેરમાં વિકાસની ગતિની સાથે સાથે સમસ્યાઓ પણ વિકરાળ બની રહી છે. ખાસ કરીને ટ્રાફિકની સમસ્યા માથાનો દુખાવો બની ગઈ છે, અને તેમાં મુખ્યત્વે પીક અવર્સ દરમિયાન શહેરમાં ઘૂસી માતેલા સાંઢની જેમ ફરતા ભારે વાહનો વધુ જવાબદાર છે. અમદાવાદ શહેર પોલીસ કમિશનરના જાહેરનામાનો સરેઆમ ભંગ કરીને ડમ્પર, ખાનગી લક્ઝરી બસો અને ટ્રકો બેફામ શહેરના રસ્તાઓ પર દોડી રહ્યા છે, પરંતુ તેમને રોકનાર કોઈ નથી. અતિવ્યસ્ત રસ્તાઓ પર પણ પીક અવર્સમાં ટ્રાફિક પોલીસના જવાનોની ગેરહાજરી સામાન્ય બની ગઈ છે.
મુખ્યમંત્રીના વિસ્તારમાં પણ નિયમોનો ભંગ
આ સમસ્યાએ રાજ્યના મુખ્યમંત્રીના મત વિસ્તાર એવા ઘાટલોડિયામાં પણ વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું છે. સતાધાર ચાર રસ્તા, ભૂયંગદેવ ચાર રસ્તા, પારસનગર, સોલા ક્રોસ રોડ, વાળીનાથ ચોક સહિતના રસ્તાઓ પર ખાસ કરીને સાંજના પીક અવર્સમાં ડમ્પરો અને ખાનગી લક્ઝરી બસોનો સતત કાફલો જોવા મળે છે, છતાં તેમને અટકાવવામાં આવતા નથી.
આ સમસ્યા વિશે જાણ થતા ગુજરાત સમાચારના પ્રતિનિધિએ સતાધાર ચાર રસ્તાથી લઈને વાળીનાથ ચોક સુધી રૂબરૂ તપાસ કરી. સાંજના પીક અવર્સમાં ભારે વાહનો બેફામ ગતિએ જતા જોવા મળ્યા. સતાધાર ચાર રસ્તા પર એક ટ્રાફિકનો જવાન એક ખૂણામાં બેસીને પોતાના મિત્ર સાથે ગપ્પા મારી રહ્યો હતો, જ્યારે લોકો ટ્રાફિક જામમાં ફસાયેલા હતા, જેની તેને કોઈ દરકાર નહોતી. અમારા પ્રતિનિધિએ સમગ્ર ઘટના પોતાના મોબાઈલ કેમેરામાં કેદ કરી હતી.
ટ્રાફિકના જાહેરનામા અંગે પોલીસ જ અજાણ?
જ્યારે ટ્રાફિકના જવાનને આ બાબતે પૂછવામાં આવ્યું, ત્યારે તેમણે જવાબ આપ્યો કે 'એ તો પરમિટવાળા વાહનો હશે.' જોકે, વાસ્તવિકતા એ હતી કે તે તમામ ભારે વાહનો પાસે કોઈ પરમિટ નહોતી. એટલું જ નહીં, સતાધાર ચાર રસ્તાના ટ્રાફિક ઈન્ચાર્જ સાથે રિપોર્ટરે ફોન પર વાત કરી. તેમને શહેરમાં ભારે વાહનો માટેના જાહેરનામાના સમય વિશે પૂછવામાં આવ્યું, પરંતુ ટ્રાફિક ઈન્ચાર્જને તે અંગે પણ જાણકારી નહોતી. આ ઘટના દર્શાવે છે કે ટ્રાફિક પોલીસ પોતે જ જાહેરનામાથી અજાણ છે કે પછી જાણી જોઈને આંખ આડા કાન કરી રહી છે.
જો મુખ્યમંત્રીના મત વિસ્તાર ઘાટલોડિયામાં જ આ સ્થિતિ હોય, તો શહેરના અનેક વિસ્તારોમાં કેવી ભયંકર પરિસ્થિતિ હશે તે સહેજે કલ્પી શકાય છે. વધુમાં, સવાલ એ પણ થાય છે કે કોના આખ મિચામણા હેઠળ શહેરી વિસ્તારોમાં 'યમદૂત' જેવા આવા ભારે વાહનો બેફામ ફરે છે? શું ટ્રાફિક પોલીસ, સ્થાનિક પોલીસ કે શહેર પોલીસ કમિશનરને આની જાણ નહીં હોય? કે પછી જાણી જોઈને આ બાબતે અનદેખી કરવામાં આવી રહી છે? કારણ કે શહેરમાં અનેક એવી ઘટનાઓ બની છે જેમાં આવા ભારે વાહનોના કારણે ગમખ્વાર અકસ્માતો સર્જાયા છે અને તેમાં નિર્દોષ વાહનચાલકો કે રાહદારીઓએ પોતાનો જીવ ગુમાવ્યો છે.
ભારે વાહનો માટે શું છે શહેર પોલીસનું જાહેરનામું?
અમદાવાદ શહેર પોલીસ કમિશનરના ગત મહિનાના જાહેરનામા મુજબ, સવારે 8 વાગ્યાથી બપોરે 1 વાગ્યા સુધી, અને સાંજે 4 વાગ્યાથી રાત્રે 11 વાગ્યા સુધી તમામ પ્રકારના ભારે તથા મધ્યમ ગુડ્સ વાહનોને શહેરમાં પ્રવેશવા પર પ્રતિબંધ ફરમાવાયેલો છે.
આ જાહેરનામાનો ભંગ કરનાર સામે ભારતીય ન્યાય સંહિતા (BNS) 2023ની કલમ 223 અને ગુજરાત પોલીસ અધિનિયમની કલમ 131 મુજબ કાર્યવાહી થઈ શકે છે. આ જાહેરનામામાં ફક્ત કેટલાક માર્ગો પર જ ભારે વાહનોને છૂટ આપવામાં આવી છે.