Gujarat

ધંધુકાની બજારના ધૂળીયા માર્ગથી અવર-જવરમાં ભારે મુશ્કેલી

By GS TEAM
14 Dec 20251 min read
ધંધુકાની બજારના ધૂળીયા માર્ગથી અવર-જવરમાં ભારે મુશ્કેલી

- વેપારીઓ દ્વારા કલેકટરને રજુઆત કરાઈ

- દિવસ દરમિયાન અસંખ્ય વાહનો પસાર થતા હોય સતત ધૂળ ઉડતી હોવાથી વેપારીઓ પરેશાન

ધંધુકા : ધંધુકા શહેરમાં આવેલા આંબેડકર સ્ટેચ્યુથી શરૂ કરી અવાડા ચોક વિસ્તારથી જુની શાકમાર્કેટ રોડ સુધી દિવસ દરમિયાન પુષ્કળ પ્રમાણમાં ધૂળ ઉડતી હોવાથી રોડની બંને સાઈડના દુકાનદારો, વેપારીઓ અને રહિશોના આરોગ્ય પર ખતરો રહે છે. 

ધંધુકામાં આંબેડકર સ્ટેચ્યુથી શરૂ કરી અવાડા ચોક, જુની પાંજરાપોળના ડેલાથી મુખ્ય શાકમાર્કેટ ના સમગ્ર રોડ પરની બંને સાઈડ કીરાણા, શાકભાજી, સ્ટેશનરી અને ફ્રુટના છુટક વેપારીઓની દુકાનો આવેલ છે.આ રોડ પર દિવસ દરમિયાન અસંખ્ય વાહનો, છકડા વગેરે વાહનોની અવરજવરથી અને પવનથી પારાવાર ધૂળ ઉડે છે. જેથી દુકાનદારો અને ગ્રાહકોના સ્વાસ્થ્ય પર અસર થઈ રહી છે.તેમજ ધુળ દુકાનોની ખાદ્ય ચીજવસ્તુઓ સહિત માલસામાન પર ઉડતી હોય વેપારીઓને સતત સાફસફાઈ કરતા રહેવાનો વખત આવે છે. આ રોડ પર જાહેર શૌચાલયની કોઈ વ્યવસ્થા ન હોય વેપારીઓ અને મુલાકાતીઓને પાછળના ભાગે જવાની ફરજ પડે છે. આ રોડ પરથી પશુપાલકોના ઘેટા બકરાના અસંખ્ય ટોળા પસાર થતા હોય ટ્રાફિકની સમસ્યા સર્જાય છે. આથી ઘેટા બકરાને ચરાવવા શહેરના મુખ્ય માર્ગેથી પસાર ન થાય તેમજ નદી તરફના માર્ગેથી આવવા જવા કાચા રોડની વ્યવસ્થા કરવાની તાતી આવશ્યકતા છે.આ ગંભીર બાબતે વેપારીઓના પ્રતિનિધિમંડળ દ્વારા કલેકટરને આવેદનપત્ર પાઠવી રજુઆત કરાઈ છે.