વૈશાખમાં વરસાદની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી
ગરમીના જોર વચ્ચે બીજા દિવસે પણ તાપમાન ૩૯.૨ ડિગ્રી રહ્યું
ભાવનગર - ભાવનગર જિલ્લામાં આવતીકાલથી ત્રણ દિવસ સુધી છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે.
હવામાન વિભાગની આગાહી મુજબ સૌરાષ્ટ્રના ભાવનગર અને અમરેલી જિલ્લામાં આવતીકાલ તા.૧૯-૪થી તા.૨૨-૪ દરમિયાન માવઠું પડી શકે છે. વૈશાખમાં વરસાદની આગાહી કરવામાં આવતા ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે. બીજી તરફ આજે પણ ભાવનગરમાં આકરી ગરમી રહી હતી. જેના કારણે સતત બીજા દિવસે ગરમીનો પારો ૩૯.૨ ડિગ્રીએ સ્થિર રહ્યો હતો. રાત્રિના સમયે ગરમીનું પ્રમાણ વધી જતાં પાછલા ૪૮ કલાકમાં લઘુતમ તાપમાન ૨.૮ ડિગ્રી વધીને ૨૫.૬ ડિગ્રીએ પહોંચી ગયું હતું. આજે દિવસ દરમિયાન ૧૪ કિ.મી.ની ઝડપે પવન ફૂંકાયો હતો. વાતાવરણમાં ભેજનું પ્રમાણ ૨૨ ટકા નોંધાયું હતું.


