Rain In Porbandar: પોરબંદર અને ગિર સોમનાથ જિલ્લાને જોડતા ઘેડ પંથકનો આકાર રકાબી જેવો છે અને ચોમાસામાં વરસાદી પાણી ભરાઈ જવાના લીધે લોકો મુશ્કેલીમાં મુકાય જાય છે. ત્યારે આ વર્ષે પણ પોરબંદરના ઘેડ પંથકમાં અનેક વિસ્તારો જળબંબાકાર બની ગયા છે અને પોરબંદર -માધવપુર હાઈવે પર પણ પાણી ફરી વળ્યા હતા.
પોરબંદર-માધવપુર હાઈવે બંધ
પોરબંદર જિલ્લામાં છેલ્લા ત્રણ દિવસથી પડેલા ભારે વરસાદ અને ઉપરવાસમાંથી છોડવામાં આવેલા વરસાદી પાણીને લીધે સમગ્ર ઘેડ પંથક જળબંબાકાર બની ગયો છે અને અનેક આંતરિક રસ્તાઓ બંધ પડી ગયા છે. એટલું જ નહીં પોરબંદરથી માધવપુર જતા હાઈવે ઉપર પણ પુરના પાણી ફરી વળ્યા હતા તો કડછથી ઘેડ બગસરા જતો રસ્તો પણ વરસાદી પાણીને લીધે બંધ થઇ ગયો છે. ગરેજ, મૈયારી, ચીકાસા, નવાગામ, લુશાળા, એરડા, મીત્રાળા, ભડ સહિત ઘેડના આંતરિક ગામડાઓમાં વરસાદી પાણીને લીધે જનજીવન અસ્તવ્યસ્ત બની ગયુ છે.
આ પણ વાંચો: જાફરાબાદના તોફાની દરિયામાં 11 માછીમારો 4 દિવસથી લાપતા, અન્ય બે બોટના 9 ખલાસીનું રેસ્ક્યૂ
ઘેડ પંથકમાં દર વર્ષે ચોમાસા દરમિયાન લોકોની સ્થિતિ કફોડી બને છે. સાંસદ દ્વારા એવા દાવાઓ કરવામાં આવે છે કે, ઘેડ વિસ્તારમાં ભરાતા વરસાદી પાણીના કાયમી નિરાકરણ માટે 1500 કરોડ રૂપિયાનો પ્રોજેકટ પ્રગતિમાં છે, પરંતુ ગમે તેવી યોજનાઓ અને પ્રોજેકટ હોય તો પણ ઘેડવાસીઓની પરિસ્થિતિમાં કોઈ ફરક પડયો નથી તે હકીકત છે.


